PM મોદીએ સોલાપુરમાં આગની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, સહાયની જાહેરાત કરાઈ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોલાપુર આગની ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મૃત્યુ થયા હતા. વડાપ્રધાન મોદીએ દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
આ સંદર્ભમાં PMOએ X પર એક પોસ્ટ કરી છે. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "મહારાષ્ટ્રના સોલાપુરમાં લાગેલી આગની ઘટનામાં થયેલી જાનહાનિથી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના. દરેક મૃતકના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે."
વહેલી સવારે આ આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે કુલ 11 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ફાયર ઓફિસર રાકેશ સાલુંકેએ કહ્યું હતું કે, "આ બચાવ કામગીરીમાં ફાયર ફાઇટરોને પણ ઇજાઓ પહોંચી હતી. 17 કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી."