ગુજરાતમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાઓથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન
- રાજ્યના 16 શહેરોમાં સ્વદેશી મેળાઓમાં₹ 10 કરોડથી વધુનું વેચાણ,
- બે મહિનામાં સ્વદેશી મેળાઓની50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી,
- વોકલ ફોર લોકલ’ જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયુ
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હર ઘર સ્વદેશી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે દેશના તમામ નાગરિકોને આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઉર્જા મળી રહી છે. રાજ્યમાં તાલુકા અને જિલ્લા સ્તરે ‘સ્વદેશી મેળા’, ‘વૉક ફોર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને આ અભિયાનને જનભાગીદારીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ અભિયાનને આગળ લઇ જતા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત રાજ્યના 16 શહેરોમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 સપ્ટેમ્બર 2025થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન 16 શહેરોમાં ‘પ્લાસ્ટિક ફ્રી’ સ્વદેશી મેળાઓ યોજવામાં આવ્યા હતા જેમાં 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ₹ 10 કરોડથી વધુનું વેચાણ કરવામાં આવ્યું છે. રાજ્યના ભાવનગર, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડીયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપીમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાઓના આયોજનમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો, સ્વસહાય જૂથો, સ્થાનિક કારીગરો અને ધંધાર્થીઓ સામેલ થયા હતા.
540 સ્વસહાય જૂથોને 2707 સ્ટોલ ફાળવવામાં આવ્યા
આ મેળાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે 540 સ્વસહાય જૂથોને 2707 સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. મેળાની મુલાકાતે આવતા લોકોના મનોરંજન માટે ગેમ શૉ, સંગીતના કાર્યક્રમો, લોક ડાયરો, પપેટ શૉ અને નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાતીઓને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં સ્વદેશીને પ્રોત્સાહન આપતો શોપિંગ ફેસ્ટિવલ અને આગામી સમયમાં નગરપાલિકા વિસ્તારોમાં સ્વદેશી મેળાઓ આયોજિત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બનશે, દરેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. 2047માં જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ ઊજવતું હશે ત્યારે ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર હશે જ.