પ્લેનક્રેશઃ 215 મૃતકોના ડીએનએ મેચ થયા, 198 મૃતદેહ પરિવારને સોંપાયા
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૧૯ જૂનના રોજ સાંજે ૦૫:૪૫ વાગ્યા સુધીમાં ૨૧૫ મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જેમાંથી ૧૯૮ પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે.વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ૫ પરિવારો વહેલી સવાર સુધી સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, ૩ પરિવારો સાથે તંત્ર સંપર્કમાં છે, જ્યારે ૯ પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહ જોઈએ રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ૧૯૮ મૃતકો કે જેમના પાર્થિવ દેહ પરિવારોને સોંપાયા છે તેમાં ૧૪૯ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૩૨ બ્રિટિશ નાગરિક, ૦૧ કેનેડિયન તેમજ ૯ નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે. ૧૫ જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે ૧૮૩ જેટલા દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ૬ દર્દીઓમાંથી ૧ ને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે, જ્યારે બાકીના ૫ દર્દીઓનું આરોગ્ય સ્થિર છે, એમ ડો.જોશીએ જણાવ્યું હતું.