નડિયાદ મ્યુનિ.કોર્પોરેશન કચેરીના સત્તાધિશોને ઢંઢોળવા લોકોએ હાથમાં તિરંગા લઈને દેખાવો કર્યો
- શહેરના વોર્ડ નંબર 4,5 અને 6માં પ્રાથમિક સુવિધાનો અભાવ,
- 150થી વધુ લોકોએ બે ડેપ્યુટી કમિશનરનો ઘેરાવ કર્યો,
- અગાઉ અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી
નડિયાદ: શહેરની નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ શહેરના પ્રાથમિક પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે લઘુમતી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે બપોરે 150થી વધુ લોકો ત્રિરંગા સાથે મ્યુનિ.કોર્પોરેશનની કચેરીમાં ધસી આવ્યું હતું. બે ડેપ્યુટી કમિશનરોનો કચેરીના પ્રવેશ દ્વાર પાસે જ ઘેરાવ કરી આકરા સવાલોનો મારો ચલાવ્યો હતો.
નડિયાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને રજુઆતો કરવા છતાંય સમસ્યાનો કોઈ ઉકેલ ન આવ્યો નથી. નડિયાદમાં વોર્ડ નં.-4, 5 અને 6ના લઘુમતી વિસ્તારોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ જેવી કે સ્વચ્છ પીવાનું પાણી, ગટર લાઇન અને યોગ્ય રોડ-રસ્તાનો અભાવ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
સ્થાનિક નાગરિકોનો આરોપ છે કે ગટર અને પીવાના પાણીની લાઈનો ભળી જવાથી દૂષિત પાણી આવે છે. ઉપરાંત, ખરાબ રસ્તાઓ અને તેના પર ગટરના પાણી રેલાવાના કારણે ચાલતા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આ અંગે વિરોધ કરવા બપોરે 2.30 કલાકે નાગરિકો એકઠા થઈને મ્યુનિ.કચેરીએ પહોંચ્યા હતા ત્યારે કચેરીમાં એક પણ જવાબદાર અધિકારીઓ હાજર નહોતા. રેલી સ્વરૂપે ત્રિરંગા સાથે પહોંચેલા લોકોએ પ્રથમ તો નગરપાલિકા વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા. તમામ લોકો મ્યુનિના પ્રવેશદ્વાર પર બેસી ગયા હતા. ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ આવતા, તેમનો ઘેરાવ કરી ટોળાએ આક્રમક રજૂઆતો કરી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેપ્યુટી કમિશનરએ તાકીદે વિસ્તારોમાં તમામ કામો કરવાની બાંહેધરી આપી ભારે સમજાવટ બાદ માંડ ટોળામાંથી બહાર નીકળી શક્યા હતા. થોડીવાર બાદ ડેપ્યુટી કમિશનર રૂદ્રેશ હુદળ મનપા કચેરીએ પહોંચતા જ તેમનો પણ ઘેરાવ કરી ગંદકીથી માંડીને રોડના પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. સ્થાનિકોએ સ્વચ્છ પીવાના પાણી, ગટર લાઇન અને રોડની સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવવા બદલ તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી સંખ્યાબંધવાર લેખિત રજૂઆતો કરવા છતાં નડિયાદ પાલિકામાંથી કોર્પોરેશન થવા છતાં વોર્ડ નં.4,5 અને 6માં કોઈ જ પ્રાથમિક સુવિધાને લગતા કાર્યો કર્યા નથી. રસ્તો, ગટર લાઈટ અને પાણીની કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી કરી નથી. ત્યારે મ્યુનિ. કમિશનર અમારા વિસ્તારની મુલાકાત લો અને પછી જે પણ જરૂરિયાત છે, તે અંગે નિર્ણય લો. હાલમાં પણ નડિયાદ મરીડા રોડ, ખરાબ છે. આ વિસ્તારમાં તમામ જરૂરી કામ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.