રાજકોટમાં ફુલો વરસાવીને લોકોએ સ્વ. વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી
- મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી આપી
- રાજકોટવાસીઓએ લોક લાડીલા નેતાને ભીની આંખે વિદાય આપી,
- અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જામી
અમદાવાદઃ વિમાન દૂર્ઘટનામાં મૃત્યુ માપેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લવાયો હતો. રૂપાણીના નિવાસસ્થાને ભાવાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.સ્વગર્સ્થની અંતિમ યાત્રામાં રાજકીય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને માહોલ ગમગીન બન્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
વિમાન દુર્ઘટનામાં 241 વિમાન મુસાફરો સહિત કુલ 278 લોકોના દુખદ નિધન થયા હતાં. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયુ હતું. રવિવારે વિજય રૂપાણીના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને ચાર્ટર પ્લેન દ્વારા સિવિલથી રાજકોટ તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
વિજય રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા છે. તેઓ અંતિમ યાત્રામાં જોડાઈ રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ હાજર છે.
વિજય રૂપાણીના નિવાસ સ્થાને પણ મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. સાંસદો, ધારાસભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા. વિજય રૂપાણીનો પાર્થિવ દેહ એરપોર્ટ પર નિવાસ સ્થાને લઈ જતાં સમયે રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ફૂલ વરસાવી પૂર્વ મુખ્યમંત્રીને અંતિમ વિદાય આપી હતી. પાર્થિવ દેહ શ્રી પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પહોંચ્યો ત્યાં પણ મોટી સંખ્યામાં પણ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટની ગ્રીન ચોકડી પહોંચ્યો હતો, જ્યાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી. જ્યારે બીજી તરફ વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી ખાતે લોકો દર્શન માટે આવી પહોંચ્યા હતા.