રાજકોટમાં માધાપર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા લોકો પરેશાન
- માધાપર વિસ્તારની વિનાયક વાટિકા સહિત અનેક સોસાયટીઓમાં ટેન્કરરાજ
- મ્યુનિ. વેરા ઉઘરાવે છે પણ નળના જોડાણો આપતી નથી
- રજુઆત કર્યા બાદ મ્યુનિ, દ્વારા પાણીના ટેન્કર મોકલવામાં આવે છે
રાજકોટઃ શહેરમાં દર ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા રહેતી હોય છે. જોકે સૌની યોજનાનો લાભ મળતા શહેરના આજી અને ન્યારી ડેમ નર્મદાના નીરથી ભરી દેવાતા હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. પણ શહેરી કેટલીક સોસાયટીઓમાં તંત્રની નિષ્ક્રિયતાને લીધે છતાં પાણીએ લોકોને પાણી મળતુ નથી. શહેરના જામનગર રોડ પર આવેલા વોર્ડ નં.3ના માધાપર વિસ્તારની વિનાયક વાટિકા સહિતની અનેક સોસાયટીમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણીના કનેક્શન અપાયા ન હોવાથી આ વિસ્તારના રહિશોને ટેન્કર પર પાણીનો આધાર રાખવો પડે છે.
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા વોર્ડ નં.3ના માધાપર વિસ્તારની વિનાયક વાટિકા સહિતની અનેક સોસાયટીમાં મ્યુનિ.કોર્પોરેશન 3-3 વર્ષથી મિલકત વેરો ઉઘરાવતી હોવા છતાં નળ કનેક્શન આપતી ન હોવાથી દર ઉનાળે પાણીની સમસ્યા સર્જાય છે અને સ્થાનિક રહિશો હોબાળો મચાવે મ્યુનિમાં રજૂઆત કરે ત્યારબાદ જ ટેન્કરો મોકલવામાં આવે છે. આ વિસ્તારમાં નળના કનેક્શનો કેમ અપાતા નથી તે અંગે સ્થાનિક રહિશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડેપ્યુટી મેયરનો આ વિસ્તાર હોવા છતાં છેલ્લા 3 વર્ષથી પાણીની પાઇપલાઇન નાખી નળ કનેક્શન આપવાના માત્ર ઠાલા વચનો જ આપવામાં આવે છે.
રાજકોટના જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવેલી વિનાયક વાટિકાના રહીશો તથા અન્ય સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, અમારા કરતા નાગેશ્વર વિસ્તાર અંદાજે 2 કિલોમીટર જેટલો દૂર છે. જ્યારે અમારો વિસ્તાર મ્યુનિ.કોર્પોરેશનમાં ભળી ગયા બાદ છેલ્લા 3 વર્ષથી નિયમિત રીતે મિલકત વેરો પણ મ્યુનિ. દ્વારા વસૂલવામાં આવી રહ્યો છે. આમ છતાં હજુ સુધી અમારા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન અને નળ કનેક્શનની સુવિધા મળી નથી. છેલ્લા 3 વર્ષથી સોસાયટીના રહીશો જ્યારે પણ નળ કનેક્શન માટે રજૂઆત કરે ત્યારે માત્ર ઠાલા વચનો જ મળે છે. આ વોર્ડના નગરસેવક ડેપ્યુટી મેયર હોવા છતાં માધાપર વિસ્તાર મ્યુનિ.કોર્પોરેશનમાં ભળ્યા બાદ પણ નળ કનેક્શન જેવી સુવિધા પૂરી પાડવામાં મનપા તંત્ર ઊણું ઉતર્યું છે. આ મુદ્દે ભૂતકાળમાં અનેક વખત ભાજપના આગેવાનો અને મ્યુનિમાં રજૂઆત કરી છે. દર વર્ષે આ વિસ્તારમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાય છે અને તે મુદ્દે મહિલાઓ મ્યુનિમાં રજૂઆત કરે ત્યારબાદ જ પાણીના ટેન્કરો શરૂ કરાય છે અને જે દિવસે પાણીના ટેન્કરો ન આવે ત્યારે સોસાયટીના રહીશોએ પાણી વેચાતું લેવું પડે છે.