સુરતમાં કેનાલ રોડ પર ખાનગી બસની અડફેટે રાહદારી યુવાનનું મોત
- કેનાલ રોડ પર રંગ અવધૂત ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી યુવાને બસે અડફેટે લીધો,
- અકસ્માત બાદ ખાનગી બસનોચાલક બસ મુકીને નાસી ગયો,
- પૂણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ખાનગી લકઝરી બસે રાહદારી યુવાનનો ભાગ લીધાનો બનાવ બન્યા છે. શહેરના કેનાલ રોડ પર રંગ અવધૂત ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ખાનગી બસે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન ખાનગી બસનો ચાલક બસ મુકીને નાસી ગયો હતો, આ અકસ્માતના બનાવની જાણ કરાતા શહેરના પૂણા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.
સુરત શહેરના પૂણા વિસ્તારમાં 22 વર્ષીય યુવક નાઇટમાં નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ખાનગી બસે ટક્કર મારી આખી બસ માથા પરથી ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ મામલે પુણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગતરોજ રાત્રે પ્રશાંત તેના માતા-પિતા સાથે જમીને નોકરી પર જવા નીકળ્યો હતો. ઘરેથી ચાલતો નીકળેલો પ્રશાંત કેનાલ રોડ ખાતે રંગ અવધૂત ચાર રસ્તા પાસે પહોંચતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ન્યૂ લક્કી નામની એક લક્ઝરી બસે પ્રશાંતને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ આખી બસ તેના માથા પરથી ફરી મળી હતી. માથા પર ગંભીર ઈજાના પગલે પ્રશાંતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થયો હોવાની જાણ તેના પિતાને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે અકસ્માત તેમના એકના એક દીકરાનો થયો છે અને તેનું મોત થયું છે. પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાથે પોલીસ દ્વારા બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી કર્મેશ્વર સોસાયટીમાં 22 વર્ષીય પ્રશાંત રમેશભાઈ આહીર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને બે બહેન છે. પ્રશાંત અપરણિત છે અને સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડાં પેકિંગનું કામ કરીને પરિવારને આર્થિકરૂપે મદદરૂપ થઈ રહ્યો હતો.