અમદાવાદના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસની અડફેટે રાહદારીનું મોત
- રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બીઆરટીએસ બસે અડફેટે લીધો,
- મૃતક યુવાન રોજગારી માટે ઉત્તરપ્રદેશથી અમદાવાદ આવ્યો હતો,
- ટ્રાફિક પોલીસે બસચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ પૂરફટ ઝડપે દોડાવાતી હોવાથી અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસનાચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મૃતક યુવક રોજગારી મેળવવા માટે ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યો હતો.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના ખોડિયારનગર બીઆરટીએસ ટ્રેકમાંથી બે યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે બીઆરટીએસ બસે એક યુવકને ટક્કર મારતા યુવકને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. યુવક તેના ભાઈ સાથે યુપીથી અમદાવાદ રોજગારી માટે આવ્યો હતો. બનાવની જાણ થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૂળ યુપીનો ફુલેન્દ્ર પ્રસાદ (ઉ.વ. 29 ) તેના નાના ભાઈ સાથે અમદાવાદમાં શ્રમિક કામ કરે છે. બંને ભાઈઓ દાણીલીમડામાં રહે છે. ગઈકાલે રાતના સમયે ફુલેન્દ્ર અને તેનો મિત્ર શાકભાજી લેવા માટે ગયા હતાં. બંને રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે બીઆરટીએસ ટ્રેકમાં ખોડિયારનગરથી આવી રહેલી BRTS બસે ફુલેન્દ્રને ટક્કર મારી હતી જેના કારણે ફુલેન્દ્રને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું છે. અકસ્માત કરનાર બસ ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી હતી.અકસ્માત મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.