સોમનાથ મંદિરમાં વિમાન દૂર્ઘટનના દિવંગતોની આત્માની શાંતિ માટે શાંતિપાઠ કરાયા
સોમનાથઃ અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શાંતિપાઠ અને પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા.
સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટ પરિવાર તરફથી ઈનચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર, મંદિરના પૂજારીઓ, સ્થાનિક તીર્થ પુરોહિતો અને દર્શને આવેલા ભક્તો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’નો પાઠ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મહામૃત્યુંજય મંત્ર જાપ સહિત શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા, જેથી દિવંગત આત્માઓને પરમાત્મા મોક્ષ પ્રદાન કરે અને તેમના પરિવારોને આ આઘાતજનક સમયમાં શાંતિ મળે. મધ્યાહ્ન સમયે સોમનાથ મહાદેવને કરવામાં આવતી મહાપૂજા દરમિયાન, સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્મશાંતિ માટે ખાસ સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ અવસરે ઉપસ્થિત તમામ યાત્રાળુઓ, પૂજારીગણ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને આ દુર્ઘટનાના ભોગ બનેલા તમામ આત્માઓની શાશ્વત શાંતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.
આ ધાર્મિક અનુષ્ઠાન દ્વારા દુર્ઘટનામાં અવસાન પામેલા સૌ દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.