પાલનપુર નગરપાલિકાએ છેલ્લા 6 મહિનામાં 7.60 કરોડના વેરાની વસુલાત કરી
- નગરપાલિકા દ્વારા 30 ડિસેમ્બર 2025 સુધી 10 ટકા વળતર આપવાની જાહેરાત કરી,
- વર્ષ 2025-26ના વર્ષ માટે કુલ રૂપિયા 18,70,19,261ના માગણા બીલ અપાયા,
- નગરપાલિકાએ આગામી 6 માસમાં રૂપિયા 11 કરોડના વેરો વસુલવાનો ટાર્ગેટ આપ્યો
પાલનપુરઃ રાજ્યની ઘણીબધી નગરપાલિકાઓ યોગ્ય વેરા વસુલાતની કામગીરી કરી ન શકતી હોવાથી આર્થિક સમસ્યાનો સામનો કરતા હોય છે. ત્યારે પાલનપુર નગરપાલિકાએ વેરા વસુલાતની કામગીરી સઘન બનાવીને છેલ્લા 6 મહિનામાં 7.60 કરોડના વેરાની વસુલાત કરી છે.
નગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 દરમિયાન રહેણાંક - બિન રહેણાંક મિલ્કતોના વેરાની વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરીજનો માટે 30 ડિસેમ્બર 2025 સુધી 10 ટકા વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
પાલનપુર નગરપાલિકા ટેક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, વર્ષ 2025-26ના વર્ષ માટે કુલ રૂપિયા 18,70,19,261ના માગણા બીલ આપવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રૂપિયા 7,60,05,425નો વેરો વસુલવામાં આવ્યો છે. હવે નગરપાલિકાએ આગામી 6 માસમાં રૂપિયા 11 કરોડનો વેરો વસુલવાનો બાકી રહેશે. વોર્ડ નંબર 1 થી 14 સુધીની તમામ મિલ્કતોના માંગણા બીલ આપી દેવામાં આવ્યા છે. જેમાં મિલ્કત વેરાની ચાલુ બાકી રકમ પર 10 ટકા વળતર આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2025 છે. 31 ડિસેમ્બર 2025 પછી આ વળતરનો લાભ આપવામાં આવશે નહિ અને 1 જાન્યુઆરી 2026 થી 10 ટકા દૈનિક દંડકીય વ્યાજ વસુલ કરવામાં આવશે.
જોકે, ગત વર્ષ અને તે અગાઉના જે પણ બાકીદારો છે. તેમને આ વળતરનો લાભ મળવાપાત્ર નથી. બાકીદારોને અગાઉના વર્ષના તેમજ ચાલુ વર્ષનો ટેક્ષ 10 ટકા દૈનિક વ્યાજ સાથે ભરપાઇ કરવાનો રહેશે.