ઈરાનના સમર્થનમાં ઈઝરાયલ ઉપર પરમાણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાને પલટી મારી
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવની સ્થિતિ છે. ઇઝરાયલના હુમલાનો જવાબ ઇઝરાયલે ડ્રોન અને મિસાઇલોથી આપ્યો હતો. આ દરમિયાન, ઇરાન દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જો ઇઝરાયલ પરમાણુ હુમલો કરશે, તો પાકિસ્તાન તેને ટેકો આપશે અને ઇઝરાયલ પર પરમાણુ હુમલો કરશે, પરંતુ એક અહેવાલ મુજબ, પાકિસ્તાને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના સિનિયર જનરલ મોહસેન રેઝાઈએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન તેની સાથે ઉભું છે અને પરમાણુ હુમલામાં તેનું સમર્થન કરશે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઇરાનના દાવાઓને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું, "ઇસ્લામાબાદે આવું કોઈ નિવેદન આપ્યું નથી." પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને ઇરાનને જૂઠો સાબિત કર્યો છે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવ વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની તેમના પરિવાર સાથે બંકરમાં છુપાઈ ગયા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલે ખામેની પર હુમલો કરવાની યોજના બનાવી હતી. તેમણે આ યોજના સાથે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ ટ્રમ્પે તેને અટકાવી દીધો હતો.
ઈરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 224 લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત, 1277 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલમાં કટોકટી તબીબી સેવાઓ પૂરી પાડતી સંસ્થા મેગેન ડેવિડ એડોમ (MDA) ના અનુસાર, મધ્ય ઇઝરાયલમાં ચાર ઇરાની મિસાઇલોના હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે, જ્યારે 67 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મધ્ય ઇઝરાયલમાં બેલિસ્ટિક મિસાઇલોથી પ્રભાવિત સ્થળોએથી 67 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. MDA એ જણાવ્યું હતું કે તેમાંથી 30 વર્ષીય મહિલાની હાલત ગંભીર છે, જ્યારે છ લોકોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, 60 લોકો સહેજ ઘાયલ થયા છે. તેમાંથી કેટલાક ચિંતાથી પણ પીડાઈ રહ્યા છે.