પાકિસ્તાન સરકારે વધુ છ હજાર અફઘાન નાગરિકોને પરત મોકલ્યાં
પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર રીતે દેશમાં વસવાટ કરતા અફઘાન નાગરિકો સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. ખાસ કરીને પંજાબ પ્રાંતમાં આ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પંજાબ સરકારના જણાવ્યા મુજબ માત્ર નવેમ્બર મહિને જ 6,220 ગેરકાયદે અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે. પંજાબની માહિતી મંત્રી આઝમા બુખારીએ જણાવ્યું કે પ્રાંતમાં ગેરકાયદે રહેલા અફઘાનો સામેનું અભિયાન સંપૂર્ણ રીતે સંગઠિત, કાનૂની અને અસરકારક રીતે ચાલી રહ્યું છે. સરકારે વ્હિસલબ્લોઅર મિકેનિઝમને પ્રોત્સાહિત કરી સ્થાનિક લોકોને ગેરકાયદે રહેવાસીઓની માહિતી આપવા વિનંતી કરી છે.
મંત્રીના કહેવા મુજબ, “જે કોઈ ગેરકાયદે અફઘાન નાગરિકોની ઓળખ કરવામાં મદદ કરશે, તેમને નગદ ઇનામ આપવામાં આવશે અને તેમની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે.” પંજાબ સરકારે જણાવ્યું કે ગેરકાયદે રહેલા અફઘાન નાગરિકોને પાછા મોકલવાના અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. ગયા મહિને પણ પ્રાંતમાંથી 22,000 જેટલા અફઘાન નાગરિકોને પરત મોકલવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે 43,000 જેટલા અફઘાનોને પણ IFRP હેઠળ પાછા મોકલાયા હતા. ગયા મહિને પંજાબ સરકારે મિયાંવાલી જિલ્લાના કોટ ચાંદના ખાતે આવેલ અંતિમ અફઘાન શરણાર્થી કેમ્પને પણ ડિનોટિફાઈ કરી દીધો હતો. જોકે ખૈબર પખ્તુનખ્વામાં 4 અને બલૂચિસ્તાનમાં 10 કેમ્પો હજુ પણ ચાલુ છે. હાલ પંજાબ સરકાર પાસે 46 ડિટેન્શન સેન્ટર કાર્યરત છે, જેમાં ગેરકાયદે રહેલો કોઈપણ અફઘાન નાગરિક રહે છે, જ્યાં સુધી તેને તોરખમ બોર્ડર મારફતે અફઘાનિસ્તાન ન મોકલી દેવામાં આવે ત્યાં સુધી.
યુએનએચસીઆર (UNHCR)ના આંકડા મુજબ, 35 લાખથી વધુ અફઘાન હાલમાં પાકિસ્તાનમાં રહે છે. તેમાથી લગભગ 7 લાખ લોકો 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન કબ્જા બાદ પાકિસ્તાન આવ્યા હતા. એમામાંથી અડધા લોકો પાસે કોઈ કાનૂની દસ્તાવેજો નથી. શહબાઝ શરીફ સરકારે કહ્યું છે કે અતિરિક્ત શરણાર્થીઓને કારણે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે અને જાહેર સેવાઓ પર ભાર વધી રહ્યો છે, તેથી ગેરકાયદે રહેવાસીઓને વતન પરત મોકલવાની કાર્યવાહી ચાલુ રહેશે.