ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનનો રહીમ યાર ખાન એરબેઝ હજુ પણ બંધ, ફરી નોટામ જાહેર કરાયું
નવી દિલ્હીઃ ભારતના ઓરપેશન સિંદૂરમાં ક્ષતિગ્રસ્ત થયેલા પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝને લઈને પાકિસ્તાને ફરી એકવાર નોટામ(એરમેનને નોટી) જારી કરી છે. આ એરબેઝને મે મહિનામાં ભારતીય વાયુસેનાએ નિશાન બનાવ્યું હતું. આ રનવે હજુ સુધી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી અને 15 ઓગસ્ટ, 2025 સુધી બંધ રહેવાની ધારણા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રહીમ યાર ખાન એરબેઝનો રનવે ભારે નુકસાન થયું હતું અને તેનું સમારકામ હજુ પણ અધૂરું છે. પાકિસ્તાન દ્વારા જારી કરાયેલ નોટામ સૂચવે છે કે એરબેઝ હજુ સુધી સંપૂર્ણપણે કાર્યરત થયું નથી. છેલ્લી વખત 18 જુલાઈના રોજ પાકિસ્તાન સરકારે આ અંગે નોટામ જારી કર્યું હતું.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહીમ યાર ખાન શહેર નજીક સ્થિત આ એરબેઝ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટ અનુસાર, અહીંનો એકમાત્ર રનવે 01/19—બિટ્યુમિનસ સપાટીનો છે, જે 3,000 મીટર અથવા 9,843 ફૂટ લાંબો છે. પાકિસ્તાન વાયુસેના તેની મોટાભાગની ફ્લાઇટ્સ અહીંથી ચલાવે છે. આ એરબેઝ ભારતીય સરહદની નજીક સ્થિત છે. રહીમ યાર ખાન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે એક તરફ અહીં લશ્કરી કાર્યવાહી થાય છે, તો બીજી તરફ તે નાગરિક હેતુઓ માટે પણ છે. શેખ ઝાયેદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પણ અહીં આવેલું છે.
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય વાયુસેનાએ 10 મે 2025 ના રોજ આ વ્યૂહાત્મક એરબેઝને સફળતાપૂર્વક નિશાન બનાવ્યું હતું. તે હુમલામાં, ભારતે DRDO ના સ્માર્ટ એન્ટી-એરફિલ્ડ વેપન (SAAW) નો ઉપયોગ કર્યો હતો, જેની રનવેની ઉપયોગિતા પર ઊંડી અસર પડી હતી. આ નવીનતમ NOTAM થી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હજુ પણ તે હુમલાની વ્યૂહાત્મક ઘાતકતામાંથી બહાર આવ્યું નથી, અને રહીમ યાર ખાન જેવા મહત્વપૂર્ણ એરબેઝને ફરીથી સક્રિય કરવામાં ત્રણ મહિનાથી વધુ સમય લાગશે.