ઓપરેશન સિંદૂર: પાકિસ્તાને ચાઇનીઝ મિસાઇલ છોડી, પંજાબમાંથી મળ્યો કાટમાળ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે, પાડોશી દેશે વધુ એક દુસાહસ કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે ભારતીય સરહદમાં ચીની બનાવટની મિસાઇલ છોડી હતી. આ મિસાઇલનો કાટમાળ પંજાબ પ્રાંતના હોશિયારપુર જિલ્લાના દસુહા ગામમાં મળી આવ્યો હતો. આ મિસાઇલનો કાટમાળ એક ઘરના આંગણામાં પડ્યો હતો. આ ઘટના બાદ ગ્રામજનોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી અનુસાર, આ વસ્તુ જહાજના ટુકડા અથવા મિસાઇલ જેવી દેખાતી હતી. આ રહસ્યમય વસ્તુ પર એક નંબર પણ લખેલો છે. આ બનાવની જાણ થતા હાજીપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને ફોરેન્સિક તપાસ માટે વસ્તુ પોતાની સાથે લઈ ગઈ હતી. પાકિસ્તાને છોડેલી આ મિસાઈલ ભારતીય સુરક્ષાદળોએ તોડી પાડી હોવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
રિપોર્ટ અનુસાર, આ કાટમાળ ચીનમાં બનેલી મિસાઇલ PL 15E નો છે. આ બે મિસાઇલોનો કાટમાળ હોવાનું કહેવાય છે. પાકિસ્તાન વાયુસેનાએ આ મિસાઇલો ચીન પાસેથી ખરીદી છે. જોકે પાકિસ્તાન દાવો કરે છે કે તે આ મિસાઇલો જાતે બનાવે છે. દરમિયાન, પાકિસ્તાનમાં પણ ગુરુવારે ઘણી જગ્યાએ ડ્રોન દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ કારણે પાકિસ્તાનના તમામ મુખ્ય શહેરોમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. તેમજ રાજધાની ઇસ્લામાબાદમાં કટોકટી લાદવામાં આવી છે. ભારતના ઓપરેશન સિંદૂર પછી ત્યાં અરાજકતા છે.