વિદેશ ભાગતા ગુનોગારોને રાકવા માટે ઓનલાઈન લૂકઆઉટ નોટિસ પોર્ટલ કાર્યરત કરાયું
- પોર્ટલ શરૂ કરાતા મેન્યુઅલ અને ઈ-મેલ આધારિત પ્રક્રિયાનો અંત આવશે,
- ઓનલાઈન પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે નોડલ ઓફિસરની નિમણૂક કરાશે,
- ભારત છોડી વિદેશ ભાગતા ગુનોગારોને માટે લૂટઆઉટ જાહેર કરવાની પ્રકિયા સરળ બની
અમદાવાદઃ વિદેશ ભાગતા ગુનોગારોને રોકવા લુઆઉટની નોટિસ આપવામાં આવતી હોય છે. પણ મેન્યુઅલ કામગીરીને લીધે વિલંબ થતાં ઘણા ગુનેગારો વિદેશ નાસવામાં સફળ રહેતા હોય છે. ત્યારે હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ વિદેશી અને ભારતીય નાગરિકો માટે લૂકઆઉટ નોટિસ (LOC) જાહેર કરવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. આ નિર્ણયથી અગાઉની મેન્યુઅલ અને ઈ-મેલ આધારિત પ્રક્રિયાનો અંત આવશે અને કાર્યવાહીમાં વધુ પારદર્શિતા આવશે.
CBIC દ્વારા જારી કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે LOC માટેનું આ પોર્ટલ દેશભરમાં યોગ્ય સમયે નોટિસ પહોંચાડવા અને તેને લગતી કાર્યવાહીને અસરકારકતા તેમજ પારદર્શકતાથી પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું છે. આ નવી ઓનલાઈન પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે ત્રણ મુખ્ય સંસ્થાઓમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. પોર્ટલ પર કામગીરી કરવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI), ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI), કસ્ટમ્સ, અને CGSTના અધિકારીઓએ નિયુક્ત નોડલ ઓફિસર સાથે સંકલન સાધવું પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સંકલન માટે નોડલ હેડને જવાબદારી સોંપવામાં આવી છે, અધિકારીઓએ તેમના વિભાગીય વડા સાથે સંકલનમાં રહેવાનું રહેશે. જ્યારે ડીઆરઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડીજી-ડીઆરઆઈના સંપર્કમાં રહેવું. તેમજ ડીજીજીઆઈના અધિકારીઓએ પ્રિન્સિપાલ ડી.જી.-ડીજીજીઆઈના સંપર્કમાં રહેવું. અને કસ્ટમ્સ અને કસ્ટમ્સ પ્રીવેન્ટિવના અધિકારીઓએ ચીફ કમિશનર, દિલ્હી કસ્ટમ્સના સંપર્કમાં રહેવા સુચના આપવામાં આવી છે.
CBIC એ જણાવ્યું છે કે અધિકારીઓના ડેઝિગ્નેશનને આધારે નોડલ ઓફિસરના લોગ ઇન ક્રિડેન્શિયલ નક્કી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માટેની વિગતવાર ગાઈડલાઈન્સ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, જેનું દરેક અધિકારીએ અનુસરણ કરવાનું રહેશે. પોર્ટલ પર કામ કરવામાં કોઈ તકલીફ પડે તો માત્ર નોડલ અધિકારીનો જ સંપર્ક કરવાનો રહેશે.