વડોદરામાં નજીક રાત્રે પૂરફાટ ઝડપે કાર રોડ પરથી ઉતરી તળાવમાં ખાબકતા એકનું મોત
• વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામ પાસેના તળાવમાં કાર ખાબકી
• કારમાં સવાર એક યુવાન તરીને બહાર નીકળી ગયો
• ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને કારને તળાવમાંથી બહાર કાઢી
વડોદરાઃ શહેર નજીક ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામ પાસે રોડ પર ગત મોડીરાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરથી ઉતરીને નજીકના તળાવમાં ખાબકી હતી કારમાં બે યુવક સવાર હતાં, જેમાંથી નીરજ ચોસલા નામના યુવકને સ્વિમિંગ આવડતું હોવાથી તે કારમાંથી બહાર નીકળી ગયો હતો. એ બાદ તેણે કારના બોનેટ પર ચડી બૂમાબૂમ કરી કારમાં ફસાયેલા કેતન પ્રજાપતિ નામના યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કાર પાણીમાં ડૂબવા લાગતાં બોનેટ પરનો યુવક સ્વિમિંગ કરીને બહાર નીકળી ગયો હતો.
આ બનાવની વડોદરા ફાયર વિભાગને જાણ થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં એક કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે કેતન પ્રજાપતિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગ દ્વારા કારને રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી.
આ બનાવ અંગે ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, શહેરના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં આવેલા તળાવમાં ગત મોડીરાત્રે એક કાર અચાનક જ પાણીમાં ખાબકી હોવાના મેસેજ મળતાં જ વડોદરા ફાયર અને ઇમર્જન્સી વિભાગની જીઆઇડીસી, વડીવાડી અને વાસણા ફાયર સ્ટેશનની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.
એક યુવક કારમાં ફસાયેલો હોવાની માહિતી મળતાં ફાયર વિભાગની ટીમે તેની શોધખોળ શરૂ કરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ કેતન પ્રજાપતિ નામના 23 વર્ષીય યુવકને ફાયર વિભાગની ટીમે બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ ઘટનામાં અન્ય કારસવાર યુવક નીરજ ચોસલાને સ્વિમિંગ આવડતું હોવાથી તેણે કારમાં ફસાયેલા યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ડૂબવા લાગતાં તે સ્વિમિંગ કરીને તળાવમાંથી બહાર નીકળી ગયો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ ગંભીર અકસ્માતમાં તળાવમાં પડેલી કાર પ્રીતિબેન ચૌધરીના નામે છે અને આ આખી ઘટનામાં કુલ 6 મિત્ર કાફેમાં જમવા માટે ગયા હતા, જેમાંથી બે વ્યક્તિ ગાડીમાં હતી, જેમાં કેતન પ્રજાપતિ અને નીરજ ચોસલા બંને ગાડીમાં હતા, આ બંનેમાંથી કેતન પ્રજાપતિનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિ બાઈક ઉપર જતી હતી, જેમાં જય અજિતભાઈ ચૌધરી, ચિરાગ શાંતિલાલ વસૈયા, વિરલ પરમાર અને સમીરભાઈ ચોકસીનો સમાવેશ થાય છે. આ પૈકી વિરલ નીતિનભાઈ પરમારનો જન્મદિવસ હોવાથી આ બધા મિત્રો બહાર જમવા ગયાં હોવાનું જાણવા મળ્યું છે.