જામનગર નજીક બે કાર સામસામે અથડાતા એકનું મોત,બાળક સહિત 4ને ઈજા
- જામનગર બાયપાસ સર્કલ પાસે મોડી રાતે સર્જાયો અકસ્માત
- પૂરફાટ ઝડપે કાર ડિવાઈડર કૂદીને સામે આવી રહેલી કાર સાથે અથડાઈ
- પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હથ ધરી
જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે જામનગર શહેર નજીક સમર્પણ બાયપાસ સર્કલ નજીક મોડી રાત્રે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે એક બાળક સહિત ચારને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત બાદ એકકારનો ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતના બનાવમાં એક કાર 120 કી.મી.ની સ્પીડે આવીને ડિવાઇડર કુદાવી સામેથી આવી રહેલી અન્ય કાર સાથે અથડાઈ હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતા પ્રભુભાઈ મેઘજીભાઈ ચૌહાણ નામના વેપારી પોતાના પરિવાર કારમાં બેસીને એક પ્રસંગમાં હાજરી આપવા માટે જીવાપર ગામે જઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે 10 સી.એન. 4511 નંબરની આઈ. 20 કાર, પૂરફાટ ઝડપે ધસી આવી હતી. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતાં કાર ડિવાઈડર કુદાવીને સામેથી આવી રહેલી સતવારા પરિવારની કાર સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જા હતો. આ અકસ્માતમાં મેઘજીભાઈ ચૌહાણ (ઉ.વ 85) નું ગંભીર ઇજા થવાના કારણે મોત હતું, જયારે કારમાં બેઠેલા દમયંતીબેન હિતેશભાઈ ચૌહાણ, વનીતાબેન જગદીશભાઈ ચૌહાણ, અને નૈતિક નામનો છ મહિનાનો બાળક ઇજાગ્રસ્ત બન્યા હતા, તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક મેઘજીભાઈના પુત્ર પ્રભુલાલભાઈ મેઘજીભાઈ ચૌહાણે પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનના પીઆઇ વી.જે.રાઠોડ તેમજ સ્ટાફના ખીમભાઈજોગલ ચિરાગભાઈ, સહિતની ટુકડી બનાવના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જયારે અન્ય ઈજાગ્રસ્તોની સારવારમાં મદદ કરી છે. ઉપરાંત અકસ્માત સર્જનાર કારનો ચાલક અકસ્માત બાદ પોતાની કાર માર્ગ પર રેઢી છોડીને ભાગી છુટ્યો હોવાથી તેની કાર કબજે કરી લેવાઇ છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.