For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં વરસાદને લીધે ડ્રેનેજમાં વહી ગયેલો એક અને અન્ય એક મૃતદેહ મળ્યા

05:19 PM Jun 26, 2025 IST | revoi editor
અમદાવાદમાં વરસાદને લીધે ડ્રેનેજમાં વહી ગયેલો એક અને અન્ય એક મૃતદેહ મળ્યા
Advertisement
  • શહેરના મણિનગરમાં 5 ઈંચ અને ઓઢવ અને રખિયાલમાં 4 ઈંચ વરસાદ નોંધાયો,
  • દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયા,
  • ડ્રેનેજલાઇનમાં વહી ગયેલા આધેડનો 9 કલાક બાદ મૃતદેહ મળ્યો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બેઃત્રણ દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જેમાં ગઈકાલે સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં  અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો, ત્યારે સાંજના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં એમ બે કલાકમાં સરેરાશ બેથી 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના મણિનગર દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજલાઈનમાં એક બાઈકચાલક તણાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે 9 કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ ડ્રેનેજલાઈનના 200 ફૂટ દૂરથી શોધી કાઢ્યો હતો. બીજી તરફ નરોડા જીઆઇડીસીમાં એક યુવકનું પાણીમાં પડી જવાથી મોત થયું હતું.

Advertisement

અમદાવાદ શહેરમાં ગઈકાલે બુધવારે સાંજે 7 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. પૂર્વ વિસ્તારમાં મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ ઓઢવ અને વિરાટનગર સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજલાઈનમાં એક બાઈકચાલક તણાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે 9 કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ ડ્રેનેજલાઈનના 200 ફૂટ દૂરથી શોધી કાઢ્યો હતો. બીજી તરફ નરોડા જીઆઇડીસીમાં એક યુવકનું પાણીમાં પડી જવાથી મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે. આ બનાવ અંગે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલે જણાવ્યું હતું કે હાલ પ્રાથમિક તપાસમાં પાણીમાં પડી જવાના કારણે મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ તેને માથા પર ઇજા પણ છે જે અંગે પોસ્ટમોર્ટમ બાદ માલુમ પડશે કે યુવકનું મોત કઈ રીતે થયું છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ કલાકમાં સૌથી વધુ મણિનગરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઓઢવ અને રખિયાલમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા એક કલાકમાં શહેરના પૂર્વ વિસ્તારમાં મણિનગર અને રામોલ તેમજ પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ વિરાટનગર, ગોમતીપુર, નરોડા, મેમકો, કોતરપુર, સૈજપુર ગરનાળા, એરપોર્ટ રોડ, સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. પ્રહલાદનગર, રામદેવનગર, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, ઇન્કમટેક્સ, વાડજ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા વસ્ત્રાલ રાઈઝ હાઇટ્સ, શ્રીજી હાઇટ્સ, ઝેવિયર્સ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ વગેરે સોસાયટીમાં કમળ સુધી પાણી ભરાતા મુસાફરો અને વાહનચાલકો અટવાયા છે. ગાડીઓ પણ અડધી ડૂબેલી હાલતમાં જોવા મળી રહી છે. હાટકેશ્વર વિસ્તારમાં પણ કેડસમા પાણી ભરાઈ ગયા છે. વાહનચાલકો રસ્તામાં વરસાદી પાણીના કારણે વાહનો બંધ પડી જતા રસ્તા વચ્ચે મૂકીને ચાલ્યા ગયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement