For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર માથાભારે શખસોએ રૂપિયા ન આપતા ટ્રકચાલકને લોહી લૂહાણ કર્યો

06:00 PM Jun 11, 2025 IST | revoi editor
ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર માથાભારે શખસોએ રૂપિયા ન આપતા ટ્રકચાલકને લોહી લૂહાણ કર્યો
Advertisement
  • સોલડી ટોલ પ્લાઝા પાસે પોલીસના સ્વાંગમાં ખંડણી ઉઘરાવતા તત્વો,
  • ટ્રકચાલકને મારમારતા અન્ય ટ્રકના ચાલકો વિફર્યા, કર્યો ચક્કાજામ,
  • હાઇવેની બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી

સુરેન્દ્રનગરઃ હાઈવે પર પોલીસના સ્વાંગમાં હાથમાં લાકડી-ડંડા રાખીને ટ્રકોને ઊભા રખાવીને ધાક-ધમકીથી રૂપિયા પડાવવામાં આવતા હોય છે. આવા તત્વો ખાસ કરીને પરપ્રાંતના ટ્રકચાલકો પાસેથી દાદાગીરી કરીને ખંડણી ઉઘરાવતા હોય છે. જોકે પોલીસ તંત્ર જાણતું હોવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. આવો જ એક બનાવ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે બન્યો હતો. જેમાં પોલીસના સ્વાંગમાં શખસોએ એક પરપ્રાંતના ટ્રક ડ્રાઇવરે પૈસા ન આપતા તેના પર હુમલો કરીને લોહી-લૂહાણ કર્યો હતો. આ બનાવથી વિફરેલા અન્ય ટ્રક ચાલકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. જેને લઇને છ કલાકથી હાઇવેની બંને બાજુ પાંચથી સાત કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઇનો લાગી હતી. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા DySP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર આવેલા સોલડી ટોલ પ્લાઝા પાસે  આજે વહેલી સવારે એક કાપડ ભરીને જતા ટ્રકના ડ્રાઇવર સાથે પોલીસ જેવા કપડા પહેરેલા કેટલાક શખસોએ રુપિયાની માંગણી કરી હતી. જોકે, ડ્રાઇવરે નાણા આપવાની ના પાડતા આ શખસોએ ટ્રક ડ્રાઇવરને ઢોરમાર મારી લોહીલુહાણ કરી દીધો હતો. ટ્રક ડ્રાઇવરને માર માર્યાની જાણ અન્ય ડ્રાઇવરોને થતાં રોષે ભરાયેલા ડ્રાઇવરોએ ટોલ પ્લાઝા પર બંને બાજુ પોતાની ટ્રકો ખડકીને હાઇવે પર ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોની કતારો લાગી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી  જે. ડી. પુરોહિત અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો છે અને ટ્રકચાલકોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા.

દરમિયાન અજાણ્યા શખસોએ જે ડ્રાઇવરને માર મારવામાં આવ્યો હતો, તેણે પોલીસને નિવેદન આપ્યું હતું કે, આજે સવારે સોલડી ટોલ પ્લાઝા પર ટેક્ષ ભર્યા બાદ હું નીકળ્યોને આગળ પોલીસ જેવા લાગતા માણસોએ મારી જોડે નાણાંની ઉઘરાણી કરી હતી. જેથી મેં નાણા આપવાની ના પાડતા તેઓ મારી પર તૂટી પડ્યા હતા અને મને ઢોરમાર મારીને ફરાર થઇ ગયા હતા.

Advertisement

ડીવાયએસપી જે. ડી. પુરોહિતે જણાવ્યું કે, ટોલટેક્ષ પરના તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારીઓ હતા કે કેમ એની તપાસ કરી રહ્યા છીએ. માર મારનાર ઇસમોની ઓળખ કરી તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યારે હાઈવે પર જે ટ્રાફિક જામ છે, એ માટે ટ્રક ચાલકોને સમજાવટથી ટ્રાફિક ખોલવાના પ્રયત્નો ચાલુ છે.

Advertisement
Tags :
Advertisement