હવે ભારતીય કંપનીઓ ચીનમાંથી દૂર્લભ રેર અર્થ મેગ્નેટની આયાત કરી શકશે
નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે કેટલીક ભારતીય કંપનીઓને ચીનમાંથી દુર્લભ ભૂમિ ચુંબકો (રેર અર્થ મેગ્નેટ)ના આયાત માટે લાઇસન્સ પ્રાપ્ત થયા છે. આ ચુંબકોના આયાત માટે ઓછામાં ઓછા ત્રણ ભારતીય કંપનીઓ — કોન્ટિનેન્ટલ ઈન્ડિયા, હિતાચી અને જય ઉશિનને પ્રાથમિક સરકારી મંજૂરી મળી ગઈ છે. આ ત્રણેય કંપનીઓ ભારતના ઓટોમોટિવ અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ભાગો અને ઉપકરણો પૂરા પાડે છે.
આ મંજૂરી એપ્રિલની શરૂઆતમાં બેઇજિંગ દ્વારા આ ચુંબકોના નિકાસ પર કડક નિયંત્રણ લગાડ્યા બાદ પ્રથમવાર આપવામાં આવી છે. આ પગલાનો હેતુ પુરવઠા સંબંધિત તે સમસ્યાઓનું નિવારણ કરવાનું છે, જેનો સીધો અસર ભારતના મુખ્ય ઉદ્યોગો પર પડ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે, “અમને જોવું રહેશે કે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો આપણા પ્રદેશમાં કેવી અસર કરે છે.”
આયાત લાઇસન્સ સાથે કેટલીક ખાસ શરતો પણ જોડાયેલી છે, આયાત કરાયેલા ચુંબકોને અમેરિકા નિકાસ કરી શકાશે નહીં તેમજ તેમનો ઉપયોગ રક્ષણ સંબંધિત હેતુઓ માટે પણ કરી શકાશે નહીં, વિદેશ મંત્રાલયે જૂન 2025માં જ પુષ્ટિ કરી હતી કે તે ચીન સાથે મળીને દુર્લભ ભૂમિ સામગ્રીના સ્થિર પુરવઠા સુનિશ્ચિત કરવા અને વેપાર પુરવઠા શૃંખલામાં અનુમાનક્ષમતા લાવવા માટે ચર્ચા કરી રહ્યું છે.
ભારત સરકાર અને ઉદ્યોગ સંસ્થાઓ હાલમાં પુરવઠા સંબંધિત અવરોધો દૂર કરવા માટે મળીને કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને ઓટોમોટિવ ક્ષેત્ર — ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો — ચીનના નિકાસ પ્રતિબંધોથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. લાઇસન્સના આ પ્રાથમિક અનુદાનથી ઉદ્યોગ પરનો દબાણ થોડો ઓછો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
 
  
  
  
  
  
 