રાજકોટમાં ચોમાસાના આગમન પહેલા 3000થી વધુ જર્જરિત મકાનોના માલિકોને નોટિસ
- શહેરના મધ્ય, પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં 3,016 જર્જરિત મકાનો,
- ચોમાસા પહેલા જર્જરિત મકાનો ખાલી કરવા મ્યુનિઓ આપી ચેતવણી,
- મ્યુનિ દ્વારા અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે
રાજકોટઃ ચોમાસાના આગમન પહેલા શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ કોઈ અઘટિત બનાવ ન બને તે માટે શહેરમાં જર્જરિત બનેલા 3000થી વધુ મકાન માલિકોને નોટિસ આપીને મકાનો ખાલી કરવા સુચના આપવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત દુર્ઘટનાઓને ટાળવાનો છે. મ્યુનિ, દ્વારા શહેરના સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આવેલા ભયગ્રસ્ત મકાનોના માલિકોને નોટિસ આપીને તેમને જર્જરિત ભાગો દૂર કરવા અથવા બાંધકામને મજબૂત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, જરૂર પડ્યે અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં સર્વે કરીને ભયગ્રસ્ત મકાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી મુજબ કુલ 3,016થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેમાં સરકારી ક્વાર્ટર પણ સામેલ છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 595 મિલકતો પૈકી 546 મિલકતોને નોટિસ પાઠવવામાં આવી છે. અને બાકીની લગભગ 50 જેટલી મિલકતોને નોટિસ આપવાની કામગીરી ચાલી રહી છે. તેમજ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 2,408 મિલકતોને નોટિસ આપવામાં આવી છે. જ્યારે ઇસ્ટ ઝોનમાં 58 મિલકતો જર્જરિત હોવાથી તમામને નોટિસ પાઠવવામાં આવી છે.
આ નોટિસોમાં લલુડી વોંકળીના આશરે 700 મકાનો અને ગોકુલધામ સહિતની આવાસ યોજનાના ક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે. RMCની ટીમો દ્વારા સ્થળ સર્વે કરીને આ નોટિસો આપવામાં આવી છે. ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટર RMC હસ્તક આવતા હોવાથી તેમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. અન્ય તમામ જર્જરિત બાંધકામો ચોમાસા પહેલા ખાલી કરાવવામાં આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.