નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં નવુ આવકવેરા બિલ 2025 રજુ કરાયુ
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં બહુપ્રતિક્ષિત નવું આવકવેરા બિલ-2025 રજૂ કર્યું. નવું આવકવેરા બિલ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું છે. આ સાથે લોકસભાની કાર્યવાહી 10 માર્ચના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
લોકસભામાં નવું આવકવેરા બિલ-2025 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું, કે, અમે આવકવેરા કલમોની સંખ્યા ઘટાડીને 536 કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આવકવેરા બિલમાં પ્રકરણોની સંખ્યામાં ઘટાડો કરવાની સાથે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે આ બિલનો ઉદ્દેશ્ય 64 વર્ષ જૂના આવકવેરા કાયદામાં મોટા ફેરફારો કરવાનો છે. નવું આવકવેરા બિલ-2025 ભારતની હાલની આવકવેરા પ્રણાલી અને વૈધાનિક જોગવાઈઓમાં એક ક્રાંતિકારી પરિવર્તન તરીકે લાવવામાં આવ્યું છે, જેમાં 21મી સદીની પ્રગતિ અને આર્થિક વાસ્તવિકતાઓને અનુરૂપ જૂના આવકવેરા કાયદા, 1961ને રદ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, આ 622 પાનાનું બિલ 6 દાયકા જૂના આવકવેરા કાયદા 1961નું સ્થાન લેશે.
ઉલ્લેખનીય છે કે, નાણાંમંત્રીએ તેમના કેન્દ્રીય બજેટ-૨૦૨૫ના ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે સંસદના બજેટ સત્ર દરમિયાન એક નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદાને આવકવેરા અધિનિયમ-2025 કહેવામાં આવશે અને તે એપ્રિલ 2026 માં અમલમાં આવવાની અપેક્ષા છે.