મુંબઈની જેમ દેશના અન્ય શહેરોમાં પણ હુમલાનું તહવ્વુર રાણાએ કાવતરુ ઘડ્યાનો NIAની તપાસમાં ખુલાસો
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હીની કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તહવ્વુર રાણાએ મુંબઈની જેમ દેશના અન્ય શહેરોમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કર્યું હતું. NIA એ સ્પેશિયલ જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં આ દાવો કર્યો હતો. સુનાવણી બાદ, ન્યાયાધીશે તહવ્વુર રાણાને 18 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ન્યાયાધીશ ચંદ્રજીત સિંહે પોતાના આદેશમાં NIAને દર 24 કલાકે તહવ્વુર રાણાની તબીબી તપાસ કરાવવાનો અને તેમને વૈકલ્પિક દિવસોમાં તેમના વકીલને મળવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, આ બેઠક ફક્ત NIA અધિકારીની હાજરીમાં જ થશે. તહવ્વુર રાણા અને તેમના વકીલ વચ્ચેની મુલાકાત દરમિયાન NIA અધિકારીએ થોડા અંતરે ઊભા રહેવું પડશે.
સુનાવણી દરમિયાન, NIA એ દલીલ કરી હતી કે મુંબઈ હુમલાના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે, વિગતવાર પૂછપરછની જરૂર પડશે અને બનાવ સ્થળે આરોપીને લઈ જઈને ઘટનાને રિક્રિએટ કરવામાં આવશે. સુનાવણી દરમિયાન NIAના DIG, એક IG અને દિલ્હી પોલીસના પાંચ DCP કોર્ટમાં હાજર હતા. ગુરુવારે તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાને ભારત લાવવાને ભારત માટે એક મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં ઘણા પોલીસકર્મીઓ શહીદ થયા હતા, જેમાં મુંબઈ પોલીસના ત્રણ વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ ભયાનક હુમલો પાકિસ્તાનથી આવેલા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓમાંથી એક, અજમલ કસાબ, જીવતો પકડાયો હતો અને તેને 2012 માં ફાંસી આપવામાં આવી હતી.