ન્યૂયોર્ક: શશિ થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આતંકવાદ સામે લડવાના ભારતના સંકલ્પનો કર્યો પુનરોચ્ચાર
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા શશિ થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ન્યૂયોર્કમાં અગ્રણી થિંક ટેન્ક, શૈક્ષણિક નેતાઓ અને મીડિયા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. આ વાતચીત દરમિયાન પ્રતિનિધિમંડળે આતંકવાદ સામે મજબૂતીથી લડવાના ભારતના સંકલ્પ પર ભાર મૂક્યો હતો. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
આ વાતની પુષ્ટિ ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા તેમના સત્તાવાર 'X' હેન્ડલ પર કરવામાં આવી હતી. કોન્સ્યુલેટના એક સત્તાવાર નિવેદન અનુસાર, "રાજદ્વારી મુલાકાત દરમિયાન ન્યૂયોર્ક પહોંચેલા શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો."
ભારતીય પ્રતિનિધિઓએ "આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા અને એકીકૃત રાષ્ટ્રીય સંકલ્પનો મજબૂત સંદેશ આપ્યો અને આતંકવાદનો સામનો કરવા તેના નેટવર્કને તોડી પાડવા અને ગુનેગારોને ન્યાય અપાવવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓની હિમાયત કરી." આ સાથે, ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.
ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળે 9/11ના આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. પ્રતિનિધિમંડળના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "એકતાના પ્રતીક તરીકે, 'રાષ્ટ્રીય સપ્ટેમ્બર 11 સ્મારક અને સંગ્રહાલય'ની મુલાકાત લેવામાં આવી હતી અને 9/11 ના હુમલામાં ગુમાવેલા નિર્દોષ જીવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભારત વૈશ્વિક સ્તરે આતંકવાદના પીડિતો સાથે એકતામાં ઉભું છે."