ગુજરાતના 206 જળાશયોમાં નવા પાણીની આવક, 9 જળાશયો ઓવરફ્લો થયાં
- નર્મદા ડેલમાં હાલ 51 ટકા જેટલા પાણીનો જથ્થો
- 25 જેટલા ડેમ 70 ટકાથી વધારે ભરાયાં
- રાજ્યના 15 ડેમ ઉપર હાઈએલર્ટ જાહેર કરાયું
ગાંધીનગરઃ ગુજરાતમાં સતત વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન નવ જેટલા ડેમ છલકાયાં છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમાં હાલની સ્થિતિએ 51.31 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના 206 જેટલા ડેમમાં હાલ 41 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જળાશયોમાં હાલ 228128 એમસીએફટી છે. જળાશયોમાં નવા પાણીની આવક પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.
રાજ્યમાં સતત વરસાદને કારણે નવ જેટલા ડેમ ઓવરફ્લો થયાં છે. જ્યારે 25 ડેમ 70 ટકાથી વધારે ભરાયાં છે. જ્યારે 22 જેટલા ડેમ 50થી 70 ટકા ભરાયાં છે. આવી જ રીતે 57 ડેમ 25થી 50 ટકા જેટલા ભરાયાં છે. આ ઉપરાંત 93 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. રાજ્યમાં 206 ડેમ પૈકી 15 હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યાં છે. જ્યારે 10 ડેમને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 9 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. નર્મદા ડેમમાં હાલનો સંગ્રહ 171409 એમસીએફટી છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. ભાવનગરની અમરગઢ અને મેઘાવદર, બોટાદની ઘેલો અને ઉતાવળી અને સુરેન્દ્રનગરની ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે. આવી જ રીતે બોટાદનો કૃષ્ણસાગર, સુરેન્દ્રનગરના લીંબાળા, સિદ્ધસર, કોરડા એરિગેશન અને કોરડા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે.