નવરાત્રિ અને દિવાળી દેશના લોકો માટે ડબલ બચત બોનાન્ઝા બનશે: ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કરાવતાં કહ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસથી જ નવી પેઢીના વસ્તુ કર દરના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રિ અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે. “આહવાન માં આદ્યશક્તિ” થીમ પર એક હજારથી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરાઈ હતી. તેમણે નવરાત્રિના આ તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો, પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના પ્રધાનમંત્રી આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ નવરાત્રિના આરંભે પૂર્વે નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો-ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટેની ખાસ તૈયાર કરેયલી કિડ્સ સિટી, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતુ. આ વાઇબ્રન્ટ મહોત્સવ પહેલી ઓક્ટોબર સુધી યોજાશે.