બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ પ્રથમ વાર નરેન્દ્ર મોદી અને યુનુસ વચ્ચે મુલાકાત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી હતી. શેખ હસીનાના તખ્તાપલટ પછી પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે આ પહેલી મુલાકાત છે. ગયા વર્ષે 5 ઓગસ્ટ 2024 ના રોજ, શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારત આવી હતી, ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા નથી. જોકે, આ દ્વિપક્ષીય બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઢાકાએ BIMSTEC સમિટ દરમિયાન મતભેદોને ઉકેલવા માટે દ્વિપક્ષીય બેઠકની વિનંતી કરી હતી.
ગુરુવારેના રોજ, વડા પ્રધાન અને યુનુસ BIMSTEC સમિટ દરમિયાન આયોજિત રાત્રિભોજનમાં સાથે બેઠા જોવા મળ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. ચીનમાં બોઆઓ ફોરમ ફોર એશિયા (BFA) ના વાર્ષિક પરિષદમાં હાજરી આપતી વખતે ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો પર યુનુસે કરેલી ટિપ્પણી બાદ દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વધુ વધ્યો છે. જોકે, તે પછી આજે બંને દેશોના ટોચના નેતાઓની મુલાકાતે ખળભળાટ મચાવી દીધો છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ભારતમાં આશ્રય લીધા પછી બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે આ ભારતની પ્રથમ ઉચ્ચ-સ્તરીય બેઠક હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠક 40 મિનિટ ચાલી હતી, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શન બાદ ભૂતપૂર્વ વડા પ્રધાન બાંગ્લાદેશથી ભાગી ગયા હતા, જેના કારણે તેમની 16 વર્ષ જૂની અવામી લીગ સરકાર ઉથલાવી દેવામાં આવી હતી. યુનુસે દાવો કર્યો છે કે ઢાકાએ ભારતને ઔપચારિક પત્રો મોકલીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા માટે હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી હતી, પરંતુ નવી દિલ્હી તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.