અમરેલી લેટરકાંડમાં નામ આવતા દિલીપ સંઘાણીએ CMને પત્ર લખી તટસ્થ તપાસની કરી માગ
- ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ પાસે તપાસ કરાવો
- અમરેલી પોલીસે કોઈના દબાણથી કાર્યવાહી કરી છે
- સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છુઃ સંઘાણી
અમદાવાદઃ સૌરાષ્ટ્રના અમરેલી લેટર કાંડનો વિવાદ ઠંડો પડવાનું નામ લેતો નથી. અને હવે તો પોલીસની હરકતો સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. લેટરકાંડમાં પોતાનું નામ ઉછળતા ભાજપના નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં સંઘાણીએ અમરેલી લેટર કાંડની તપાસ હાઈકોર્ટનાં નિવૃત જજની અધ્યક્ષતામાં કરાવવા માટે માંગ કરી છે. અને જણાવ્યું છે. કે, આ બાબત અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરી હોઈ શકે તેમ મારું માનવુ છે.
રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના અગ્રણી દિલિપ સંઘાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડીયાના અહેવાલથી મને જાણ થયેલ કે, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કીશોરભાઈ કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઇ વધાશીયા, એક મહિલા સહીત કુલ 4 વ્યક્તિની ધરપકડ કરી હતી અને જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઈ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારુ તથા અન્ય ભાજપા આગેવાનના નામ આપવા દબાણ કર્યુ હતું. તેવી હકીકત મનિષભાઇ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી. જે મેં મીડિયાના માધ્યમથી જોયેલ. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરી હોઈ શકે તેમ મારુ માનવુ છે. વધુમાં, કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે. સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરીને તે હકીકતની લોકો ને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.
સંધાણીએ જણાવ્યું હતું કે, અમરેલી લેટરકાંડ મુદ્દે ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસીયા, અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભાજપના પૂર્વ હોદેદાર મનીષ વઘાસીયાએ કહ્યું કે, પોલીસે મને માર માર્યો હતો. રિકન્સ્ટ્રક્શનમાં કૌશીક વેંકરીયાના પી.એ સહિતની હાજરી હતી. પોલીસે પૂછપરછ કરી માર મારવામાં આવ્યો હતા. પોલીસ દ્વારા એવું પૂછવામાં આવ્યું હતું કે, લેટરકાંડમાં દિલીપભાઈ સંઘાણી, મુકેશભાઈ સંઘાણી,નારણભાઈ કાછડીયા હતા કે કેમ? આ કેસમાં પાયલ ગોટીએ ડીજીપીમાં ફરિયાદ કરી છે કેમ પગલાં લીધા નથી જે સામેલ છે તે લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ.