ગુજરાતમાં દ્વારકા, ચોટિલા અને કેવડિયા સહિત 7 સ્થળોએ મ્યુઝિયમ બનાવાશે
- મ્યુઝિયમ સંસ્કૃતિને નવો વેગ આપવા ગુજરાત સરકારે કર્યો નિર્ણય
- મ્યુઝિયમ વિષયની અનુભૂતિ કરાવતું ‘એક્સપિરિયન્સ બેઝ્ડ’ હશે
- વડનગરમાં સૌપ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ બનશે
ગાંધીનગર: ગુજરાતમાં દ્વારકા, ચોટિલા, કેવડિયા સહિત સાત સ્થળોએ મ્યુઝિયમ બનાવવાનો સરકારે નિર્ણય લીધો છે. નાગરિકોમાં મ્યુઝિયમ પ્રત્યે વધતી રુચિને ધ્યાનમાં રાખી વડનગર, દ્વારકા, ચોટિલા અને કેવડિયા ખાતે વિષયાધારી મ્યુઝિયમ બનશે. આ મ્યુઝિયમ માત્ર પ્રદર્શિત પદાર્થો સુધી સીમિત નહીં પણ વિષયની અનુભૂતિ કરાવતું ‘એક્સપિરિયન્સ બેઝ્ડ’ હશે.
ગુજરાત સરકારે જે સાત મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે જેમાં કેવડિયા ખાતે ચાર નવનિર્મિત મ્યુઝિયમની સાથે વડનગરમાં તાના-રીરી સંગીત મ્યુઝિયમ, દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું શ્રીકૃષ્ણ મ્યુઝિયમ અને ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ ઊભું કરાશે. વડનગરમાં અવિસ્મરણીય પુરાતત્વીય શોધોને આધારે ભારતના સૌપ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું સફળ આયોજન થયું છે. અંદાજે 7000થી વધુ ઐતિહાસિક કલાકૃતિઓ અહીં પ્રદર્શિત છે. તેના સફળ મોડલને આધારે તાના-રીરી સંગીત મ્યુઝિયમ વડનગરમાં બનાવાશે, જે ત્યાંની સંગીત પરંપરા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરશે.
આ ઉપરાંત દ્વારકામાં બનનારા શ્રીકૃષ્ણ મ્યુઝિયમથી ભાવિકો અને પ્રવાસીઓને કૃષ્ણજન્મભૂમિની સાંસ્કૃતિક ઝાંખી મળશે, જ્યારે ચોટીલામાં બનેલું ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ ગુજરાતની સાહિત્યસપ્તક પરંપરાને નમન કરશે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતાનગરમાં ‘મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઇન્ડિયા’ દેશના રજવાડાઓના ઐતિહાસિક યોગદાનને યાદ કરશે. અહીં ભારતના રાજકીય એકીકરણમાં રજવાડાઓની ભૂમિકા ઉપર ખાસ ઝોક આપવામાં આવશે.
કેન્દ્ર સરકારના સહયોગથી લોથલ ખાતે મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પણ બનાવાઈ રહ્યો છે. આ કાર્યક્રમ હડપ્પન યુગથી શરૂ થતા ભારતના દરિયાઈ વેપાર અને દરિયાઈ સંસ્કૃતિનો જીવંત ઇતિહાસ રજૂ કરશે. અહીં લોથલ મિની રિક્રિએશન, થિમ આધારિત પાર્કો જેવી કે ‘મેરિટાઇમ થિમ પાર્ક’, ‘ક્લાઇમેટ થિમ પાર્ક’ અને ‘એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થિમ પાર્ક’ પણ નિર્માણ પામશે.