અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મ્યુનિએ રેસિડેન્સીયલ એકમ પર બુલડોઝર ફેરવ્યું
- જમાલપુરમાં પરવાનગી વિના રેસિડેન્સિયલ એકમ ઊભુ કરી દેવાયું હતુ
- અગાઉ એકમ સીલ કરીને નોટિસ આપવામાં આવી હતી
- મધ્ય ઝોનમાં અન્ય દબાણો પણ દુર કરાયા
અમદાવાદઃમ્યુનિ.કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જમાલપુર વિસ્તારમાં બિન પરવાનગી રેસિડેન્સીયલ એકમ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અગાઉ એકમ સીલ કરાયું હતું. અને વારંવાર નોટિસ અપાઈ હતી. પરંતુ ગેરકાયદેસર બાંધકામ થતાં આખરે એએમસી દ્વારા બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
એએમસી દ્વારા મધ્ય ઝોનના દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.જમાલપુર વોર્ડમાં આવેલા લાંબી શેરી નંબર - 01 એક પાસે આવેલી નવી મસ્જિદની પાસે માસુમખાન પઠાણ અને બાંધકામ કરનારા વ્યક્તિઓ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરથી સિક્સ ફ્લોરના ઉપર બિન પરવાનગી આશરે 2497 ચો. ફૂટનું રેસિડેન્સીયલ સ્કીમ પ્રકારનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. એએમસી દ્વારા જીપીએમસી એક્ટ મુજબ નોટિસ બજાવી હતી અને એકમ પણ સીલ કરવામાં આવ્યુ હતું. પરંતુ કબજેદાર દ્વારા પરવાનગી વગર ગ્રાઉન્ડ ફ્લોરથી સેકન્ડ ફ્લોર સુધીના બાંધકામનો અમલ કરવામાં આવેલ તેમ છતાં બાંધકામ કર્તા દ્વારા બિન પરવાનગીનું બાંધકામ ચાલુ રાખતા એએમસી દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પોલીસની મદદ લઈ એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા બિન પરવાનગીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યુ હતુ.
બીજી તરફ પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પણ નિકોલ વોર્ડમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું બિન પરવાનગીએ કરેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તેમજ 15 હજારની પેનલ્ટી પણ વસૂલાત કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક આદેશ બાદ ફરી એકવાર એએમસી દ્વારા જાહેર રસ્તા પર રહેલા દબાણ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. જાહેર રસ્તા પર દબાણ કરી ઉભા રહેલા લારી ગલ્લાઓ મોટી સંખ્યામાં દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મધ્ય ઝોન વિસ્તારમાં એલિસ બ્રિજ, જમાલપુર ફૂલ બજાર, જમાલપુર શાકમાર્કેટ, સરદાર બ્રિજ, ગાંધી બ્રિજ, ભદ્ર પરિસર ત્રણ દરવાજા, નહેરુ બ્રિજ, કામા હોટલ રોડ માંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.