વડોદરામાં એમએસ યુનિવર્સિટીનો 5મી સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજાશે
- એમ.એસ.યુનિવર્સિટીમાં 20 વર્ષ બાદ પ્રથમ સત્રમાં કોન્વોકેશન યોજાશે,
- યુનિ. દ્વારા કોન્વોકેશન મોડું કરાતાં ઉચ્ચ અભ્યાસ માટે જતા છાત્રોને સમસ્યા સર્જાતી હતી,
- ડીનની બેઠકમાં કોન્વોકેશન વહેલા યોજવાનો નિર્ણય લેવાયો,
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 5મી સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 વર્ષ બાદ પ્રથમ સત્રમાં પદવીદાન યોજાશે, વિદ્યાર્થીઓના ડેટા એકત્રીત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા હોય છે. તેવા વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરમાં પદવીદાન યોજવાથી લાભ થશે.
એમએસ યુનિવર્સિટીમાં છેલ્લા 20 વર્ષથી કોન્વોકેશન સમય પર યોજવામાં આવતો નહોતો. જેના પગલે વિદ્યાર્થીઓ દર વર્ષે પરેશાન થઇ રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં તો વિદ્યાર્થીઓને જુલાઇમાં સત્ર પૂરું થયા બાદ બીજા વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે કોન્વોકેશન યોજીને ડિગ્રીઓ આપવામાં આવી છે. જેના પગલે ભારે વિવાદો પણ થયા હતા. વિદ્યાર્થીઓને સમયસર ડિગ્રી નહિ મળવાના પગલે જે વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા હોય છે. તેવા વિદ્યાર્થીઓને સમસ્યાઓ થઇ હતી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓને વીઝાની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેવી જ રીતે જે વિદ્યાર્થીઓને નોકરીમાં ડિગ્રીની જરૂરીયાત હોય તેવા વિદ્યાર્થીઓ પણ રાહ જોવી પડતી હતી.. જેથી ચાલુ વર્ષે કોન્વોકેશન દિવાળી પહેલા જ યોજી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ તાજેતરમાં મળેલી ડીનની બેઠકમાં જ કોન્વોકેશન વહેલું યોજવા માટેની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. હાલ યુનિવર્સિટી પાસે ડેટા તૈયાર છે. જેથી તેઓ જુલાઇ મહિનામાં પણ કોન્વોકેશન યોજી શકાય તેમ છે. પરંતુ સત્તાધીશો દ્વારા જુલાઇમાં વરસાદ હોવાના કારણે ઓગષ્ટ અથવા તો 5 સપ્ટેમ્બર શિક્ષક દિનની દિવસે કોન્વોકેશન યોજવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કોન્વોકેશન માટે ચીફ ગેસ્ટ બોલાવા માટેની સૂચનો મંગાવવામાં આવ્યા છે અને પહેલાથી જ તારીખ લઇ લેવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે યુનિવર્સિટી દ્વારા હવે 5 સપ્ટેમ્બર પહેલા કોન્વોકેશન યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ડેટા એકત્રીત કરવાની કામગીરી પણ સોંપાઈ છે. આ વખતે વિદ્યાર્થીઓને કોન્વોકેશન માટે રાહ જોવી નહિ પડે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કોમન એકટ પહેલા યુનિવર્સિટીમાં જયારે સિન્ડિકેટનું અસ્તિત્વ હતું તે સમયે કોન્વોકેશનમાં થઇ રહેલા વિલંબના કારણે વિવાદ થયો હતો અને તાત્કાલીન સભ્યો દ્વારા 5 સપ્ટેમ્બરના રોજ કોન્વોકેશન યોજવા માટેનો ઠરાવ કર્યો હતો પંરતુ ત્યારબાદ પણ કયારેય 5 સપ્ટેમ્બરના રોજ કોન્વોકેશન થયું ના હતું.