દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના નાના પૂત્રની પણ ધરપકડ
- ડેપ્યુટી ડીડીઓ અને એપીઓની પણ ધરપકડ
- અગાઉ ટીડીઓ સહિત 11ની ધરપકડ કરવામાં આવી હતી
- મંત્રીના પુત્રોએ મનરેગા યોજનાને કમાણીનું સાધન બનાવ્યુ હતુ
દાહોદ: મહાત્મા ગાંધી રોજગાર ગેરન્ટી યોજના (મનરેગા) ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારી આપવાની યોજના છે. આદિવાસી વિસ્તાર એવા દાહોદ વિસ્તારમાં આ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો પડદાફાશ થયો હતો. આ કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પૂત્રોની સંડોવણી બહાર આવતા પોલીસે મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની ધરપકડ કરી છે. પોલીસે ફરાર મંત્રી પુત્ર સહિત ચારની ધરપકડ કરી છે. જેમાં કિરણ ખાબડ, દેવગઢબારિયાના APO દિલીપ ચૌહાણ અને ધનપુરના ડેપ્યુટી DDO રાઠવાની પણ ધરપકડ કરી છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 11ની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાવડ સહિત તત્કાલીન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરાઈ હતી.
દાહોદ મનરેગા કૌભાંડમાં રાજ્યના પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધી છે. પહેલા મોટા દીકરા બળવંત ખાબડની અને હવે તેમના નાના દીકરા કિરણને પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા-કાલોલ હાઈવે પર પોલીસે તેને વહેલી સવારે ઝડપી પાડ્યો હતો. હાલ તેની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ મંત્રી પુત્રોએ કમાણીની યોજના બનાવી દીધી હતી. થોડા દિવસ પહેલા મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી. જેના પગલે રાજકારણ ગરમાયુ હતું. સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે સ્થળ તપાસ કરતાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, મંત્રી પુત્રોએ ચેકડેમ, હેન્ડપંપ-પાણીના બોર, માટી મેટલના રસ્તા બનાવ્યાં વિના જ બારોબાર જ બિલો પાસ કરાવી લાખો કરોડો સેરવી લીધા હતાં. એવો આક્ષેપ કરાયો છે કે, ખુદ મંત્રી બચુ ખાબડે જ સત્તાનો દૂરપયોગ કરી પુત્રોને મનરેગાના કામો અપાવી ફાયદો કરાવ્યો હતો. કહેવાય છે કે, દાહોદ જિલ્લાના માત્ર બે તાલુકામાં જ રૂા.71 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. જો વધુ વધુ ત તપાસ કરાય તો રૂા. 200 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે. દાહોદ જિલ્લામાં દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના બધાય કામો મંત્રીપુત્રોની એજન્સી શ્રી રાજ ટેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યાં હતાં. આ બંને એજન્સીઓએ પિતાના રાજકીય વગનો ઉપયોગ કરીને ધૂમ ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ મુદ્દે મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરાઈ હતી. આ કેસમાં પોલીસ ફરિયાદ કરાયા બાદ સરકારી અધિકારીઓ સહિત 12થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.