ગુજરાતના 160 તાલુકામાં મેઘમહેર, ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ વરસાદ
ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મોડી રાતે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 27 જિલ્લાના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ડાંગના આહવામાં સૌથી વધારે 9.8 ઈંચ, કપરાડામાં 9.5 ઈંચ, ડાંગના વઘઈમાં 7.7 ઈંચ, ડાંગના સુબરીમાં 7.1 ઈંચ અને વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મેઘરાજા દક્ષિણ ગુજરાતના મનમુકીને વરસ્યાં હતા. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 114 મિમિ એટલે કે 12 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લાનામાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે.
રાજ્યમાં આજે સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડમાં 3.39 ઈંચ, વલસાડના ધમરપુરમાં 3.35 ઈંચ, ભરૂચના હંસોટમાં 3.19 ઈંચ, ભરૂચના વાલિયામાં 2.87 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 2.82 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 કલાકમાં વરસાદ વરસ્યો ન હતો. જ્યારે 127 તાલુકામાં 50 મિમિ સુધી વરસાદ નોંધાયો હતો. આવી જ રીતે 25 જેટલા તાલુકામાં 51થી 100 મિમિ, 2 તાલુકામાં 101થી 150 મિમિ, ચાર તાલુકામાં 151થી 200 મિમિ, બે તાલુકામાં 201થી 250 મિમિ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સતત વરસાદને કારણે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ છે. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. જેના પરિણામે બોટાદ, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 134 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.