For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલેશન, 400થી વધુ છાપરાઓ તોડી પડાયા

04:19 PM May 29, 2025 IST | revoi editor
અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલેશન  400થી વધુ છાપરાઓ તોડી પડાયા
Advertisement
  • બાપુનગરના અકબરનગરમાં મેગા દબાણ હટાવ ઝૂંબેશ
  • મેગા ડિમોલિશન દરમિયાન સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • મ્યુનિ. દ્વારા કાટમાળ હટાવીને દીવાલ બનાવી દેવાશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં દબાણો હટાવવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ત્રણ તબક્કે ચંડોળા તળાવ વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરીને અનેક કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને તોડી પાડીને સરકારી જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. ત્યારે આજે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં પણ મેગા ડિમોલીશન હાથ ધરીને 400થી વધુ છાપરાંઓ તેમજ કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement

શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાપુનગરમાં અજીત મિલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલી આ વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરાં અને નાના-મોટા કાચાં-પાકાં મકાનો હતા, જેને બે કલાકની અંદર પાંચ જેસીબી અને આઠથી વધુ હિટાચી મશીનથી તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરાં અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે કોઈ અનિચ્છિનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અકબરનગરના છાપરામાં રહેતા તમામ લોકોએ પોતાનો સામાન બહાર લાવીને રોડ ઉપર મૂકી દીધો છે. અત્યારે તમામ લોકો રોડ ઉપર બેસી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ અકબરનગર વિસ્તારના તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો પણ ફાળવવામાં આવ્યા હતા, જેમાંના 76 લોકો હજી પણ અહીંયા રહેતા હતાં. ત્યારે આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારબાદ ફરીથી દબાણ ન થાય તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દીવાલ બનાવી દેવામાં આવશે.

Advertisement

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના બાપુનગરના અકબરનગરના છાપરાના ડિમોલિશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 2 એસીપી, 9 પીઆઇ, 27 પીએસઆઈ, 400 પોલીસકર્મી સહિત 10 એસઆરપી સેક્સન બંદોબસ્તમાં મૂકવામાં આવી હતી. શાંતિપૂર્ણ રીતે મકાનોના ડિમોલિશન કરાયા હતા.

Advertisement
Tags :
Advertisement