મહારાષ્ટ્ર સરકારે ખાનગી ક્ષેત્રમાં કામકાજનો સમય વધાર્યો કર્યો, ઉત્પાદનમાં થશે વધારો
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની કાર્ય અવધિ વધારવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય કેબિનેટે હાલની 9 કલાકની જગ્યાએ હવે 10 કલાક કામ કરવાની મંજૂરી આપતા પ્રસ્તાવને મંજુરી આપી છે. આ નિર્ણય ઉદ્યોગોમાં રોકાણ આકર્ષવા, રોજગારની તકો ઊભી કરવા અને ઉત્પાદન કાર્યમાં સરળતા લાવવા માટે કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ સુધારો પસાર કરવામાં આવ્યો. સરકારનું કહેવું છે કે આ પગલાથી ઉદ્યોગોને સતત કામકાજ ચલાવવા સરળતા મળશે, ખાસ કરીને ત્યારે જ્યારે શ્રમિકોની અછત હોય અથવા ઉત્પાદનની માંગ વધારે હોય. સાથે જ, કર્મચારીઓને ઓવરટાઈમનો યોગ્ય ભથ્થુ ચૂકવાશે. ફેક્ટરી એક્ટ, 1948 અને મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ, 2017માં સુધારા કરવામાં આવશે.
સુધારેલ નિયમો અનુસાર હવે દૈનિક કામકાજ 9 કલાકથી વધારીને 12 કલાક સુધી કરી શકાય છે. છ કલાક કામ કર્યા પછી કર્મચારીઓને આરામ માટે બ્રેક મળશે, જે અગાઉ પાંચ કલાક પર નક્કી હતો. ઓવરટાઈમની મર્યાદા પણ 115થી વધારીને 144 કલાક પ્રતિ ત્રિમાસિક કરવામાં આવી છે, જો કે આ માટે કર્મચારીઓની લેખિત સંમતિ આવશ્યક રહેશે.
શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ અધિનિયમ હેઠળ હવે દૈનિક કામનો સમય 9 કલાકની જગ્યાએ 10 કલાક થશે. ઓવરટાઈમ મર્યાદા 125 કલાકથી વધારી 144 કલાક કરવામાં આવી છે. તાત્કાલિક પરિસ્થિતિઓમાં ડ્યૂટી 12 કલાક સુધી કરી શકાશે. આ પ્રાવધાન 20 અથવા તેથી વધુ કર્મચારીઓ ધરાવતા સંસ્થાનો માટે લાગુ પડશે. જ્યારે 20થી ઓછા કર્મચારીઓ ધરાવતા સંસ્થાઓને હવે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂર નહીં રહે, માત્ર જાણ કરવી પૂરતી રહેશે.
શ્રમ વિભાગના જણાવ્યા મુજબ આ સુધારાઓથી કાર્યસ્થળ પર મહિલાઓ સહિત તમામ માટે કામકાજનું વાતાવરણ વધુ અનુકૂળ બનશે. સરકારનું માનવું છે કે કર્મચારીઓને ઓવરટાઈમ માટે ડબલ પે મળશે અને તેમના અધિકારો સુરક્ષિત રહેશે. આ પગલાથી કામદારો અને નોકરીદાતા વચ્ચે ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓનો અંત આવશે.