મહાકુંભઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લગાવી શ્રદ્ધાની ડુબકી
લખનૌઃ પ્રયાગરાજમાં મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમૃતસ્નાન કરવા આવી રહ્યાં છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા હતી. અમિત શાહ આજે મહાકુંભ 2025નો ભાગ બન્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ પછી, શાહે તેમના પરિવાર સાથે ગંગા આરતી કરી હતી. યોગ ગુરુ બાબા રામદેવે પણ અમિત શાહ સાથે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
અમિત શાહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, કુંભ સંવાદિતા પર આધારિત આપણા શાશ્વત જીવન દર્શનને પ્રતિબિંબિત કરે છે. આજે, ધાર્મિક નગરી પ્રયાગરાજમાં એકતા અને અખંડિતતાના આ મહાન ઉત્સવમાં, હું સંગમમાં ડૂબકી લગાવવા અને સંતોના આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છું. પ્રયાગરાજ પહોંચતા જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીમંડળે ફૂલો આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
તાજેતરમાં જ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના મંત્રીમંડળ સાથે મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. મહાકુંભનું આયોજન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી રહ્યું છે. 13 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 110 મિલિયનથી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી છે જેમણે શરૂઆતના પખવાડિયા દરમિયાન પ્રયાગરાજમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.