For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા 11મી જુને યોજાશે

04:27 PM Jun 04, 2025 IST | revoi editor
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા 11મી જુને યોજાશે
Advertisement
  • બેન્ડવાજા સાથે શોભાયાત્રા સ્વરૂપે નદીમાંથી જળ લાવી ભગવાનનો જળાભિષેક કરાશે,
  • જળયાત્રા બાદ ભગવાન જગદીશ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સરસપુર મામાના ઘરે જશે,
  • ભગવાનની ત્રણેય રથોને રંગરોગાન કરાયા

અમદાવાદઃ  શહેરમાં ઐતિહાસિક ગણાતી અને પરંપરાગત નીકળતી ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પુરી થઈ ચૂકી છે. આગામી તા. 11 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે. સાબરમતી નદીમાંથી જળ ભરીને ભગવાનનો મહા જળાભિષેક કરાશે. મિની રથયાત્રા તરીકે ઓળખાતી આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ હાજર રહેશે. ભગવાન વર્ષમાં એકવાર ગજવેશ ધારણ કરતા હોય છે ત્યારે જળયાત્રાના દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે.

Advertisement

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં જળયાત્રા યોજાતી હોય છે. 11 જૂનના રોજ સવારે 8 વાગ્યે આ શોભાયાત્રાનો પ્રારંભ થશે. જેમાં હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી અને નાના અખાડા સાથે મિની રથયાત્રા સ્વરૂપે યોજાતી શોભાયાત્રા મંદિરેથી પાછળ સાબરમતી નદીના ભુદરના આરે પહોંચશે. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત તમામ ધારાસભ્યો પૂજા વિધિમાં જોડાશે. પૂજા વિધિ બાદ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના સંતો મહંતોની હાજરીમાં સાબરમતી નદીમાંથી જળ ભરવામાં આવશે. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે ત્યારબાદ ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. ભગવાનના જળાભિષેક બાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનનો મહાપ્રસાદ યોજાશે. જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર ખાતે મામાના ઘરે જશે.

Advertisement

અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરથી દર વર્ષે અષાઢી બીજના દિને પરંપરાગત નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે 27મી જુનને અષાઢી બીજના દિને નિકળશે, ભગવાન જગન્નાથજી, બહેન સુભાદ્રજી અને બલરામજી શહેરની પરિક્રમાએ નિકળીને ભક્તજનોને દર્શન આપશે. રથયાત્રાને ગણતરીના દિન બાકી હોવાથી રથયાત્રા માટે તૈયારીઓ પુરા જોશથી ચાલી રહી છે. ભગવાનના ત્રણેય રથની રંગ રોગાનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓરિસ્સાના પુરી ખાતે જગન્નાથ મંદિરના ત્રણેય રથના કલર મુજબ અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરના ત્રણેય રથને કલર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રથને ઓટો ફિનિશ કલર કરવામાં આવ્યા છે. સૂર્યપ્રકાશથી ઝળહળે એવા ચમકીલા બનાવવામાં આવ્યા છે. (File photo)

Advertisement
Tags :
Advertisement