For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 62 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી, 206 ડેમમાં 44.89 ટકા જળસંગ્રહ

06:07 PM Jun 09, 2025 IST | revoi editor
ગુજરાતમાં 62 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી  206 ડેમમાં 44 89 ટકા જળસંગ્રહ
Advertisement
  • કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો ડેમોમાં જળસ્તર 30 ટકાથી ઓછું,
  • સુરેન્દ્રનગરના ધોળી ધજામાં 84 ટકા સાથે સૌથી વધુ જળસ્તર,
  • કચ્છના કાળાઘોઘા, ભાદર-2, આજી-2, સુખી સહિત ડેમોમાં 70 ટકા પાણી

અમદાવાદઃ ચોમાસાના વિધિવત આગમનને હવે 10થી 15 દિવસ જેટલો સમય બાકી છે. હાલ પણ રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. હાલ રાજ્યના 62 જળાશયોમાં માત્ર 10 ટકાથી ઓછો જળસંગ્રહ છે. અને જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે રાહતની બાબત એ છે કે, રાજ્યના 206 જળાશયોમાં હાલ સરેરાશ 44.89 ટકા જળસ્તર છે. નર્મદા ડેમમાં પણ પુરતી જળરાશી ઉપલબ્ધ છે. ચોમાસાના આગમનની ઘડીઓ ગણાય રહી છે ત્યારે પાણીની મુશ્કેલી નહી પડે. સૌરાષ્ટ્રમાં હાલ પણ સૌની યોજના હેઠળ ડેમ અને તળાવો ભરવામાં આવી રહ્યા છે.

Advertisement

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ બે જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે એક ડેમમાં 80 ટકાથી 90 ટકા, 3 ડેમમાં 70 ટકાથી 80 ટકા જેટલું જળસ્તર છે. 200 જેટલા જળાશયોમાં જળસ્તર હવે 70 ટકાથી ઓછું છે. હાલમાં મહીસાગરના વણાકબોરીમાં સૌથી વધુ 93.39 ટકા, મોરબીના મચ્છુ-2માં 92.99 ટકા, સુરેન્દ્રનગરના ધોળી ધજામાં 92.84 ટકા સાથે સૌથી વધુ જળસ્તર છે. આ સિવાય 70 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં કચ્છના કાળાઘોઘા, રાજકોટના ભાદર-2, આજી-2, છોટા ઉદેપુરના સુખીનો સમાવેશ થાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછું 20.78 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.47 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.56 ટકા જેટલું જળસ્તર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 54.07 ટકા જળસ્તર નોંધાયું છે. જોકે, જળસ્તરમાં ઘટાડો છતાં કોઇ પ્રકારનું જળસંકટ નહીં સર્જાય તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement