અમદાવાદ સહિત શહેરોમાં લાખો જૈનોએ એકસાથે નવકાર મંત્રનું પઠન કર્યું
- અમદાવાદના જીઆઈડીસીના મેદાનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
- વડોદરા, સુરત, રાજકોટ, પાલીતાણા, ભાવનગર, બોટાદ સહિતના શહેરો કરાયું આયોજન
- વિશ્વ કલ્યાણ સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો ઉદેશ્ય
અમદાવાદઃ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજના ઉપક્રમે વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના ઉદેશ્યથી આજે અમદાવાદ સહિત શહેરોમાં નવકાર મંત્ર પઠનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, બોટાદ. રાજકોટ. પાલિતાણા સહિત શહેરોમાં તેમજ વિશ્વના 108થી વધુ દેશમાં 'વિશ્વ નવકાર મહામંત્ર' દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં 25 હજારથી વધુ જૈનોએ નવકાર મહામંત્રનો જાપ કર્યો હતો. જ્યારે વડોદરા, સુરત, રાજકોટ, પાલીતાણા, ભાવનગર, બોટાદ સહિતના શહેરો-ગામોમાં આજે ‘નવકાર ડે’ના દિને મહામંત્ર નવકારના જાપ ગુરૂ ભગવંતોની નિશ્રામાં સંપન્ન થયા હતા. ઉપાશ્રયોમાં વિશિષ્ટ આયોજનો કરાયા હતા.
જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્ર્વ કલ્યાણ સંકલ્પને જન જન સુધી પહોંચાડવા વિશ્વના 108થી વધુ દેશોમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નવકાર મહામંત્રનો મૂળ સંદેશ બધા જીવો પ્રત્યે સ્નેહ અને આદરનો છે. આ મૂલ્ય ઘણા ધર્મોના મૂળ સિદ્ધાંતો સાથે મેળ ખાય છે. એટલું જ નહીં, નવકાર મહામંત્ર અહિંસાનો મજબૂત સંદેશ આપે છે. આ મંત્રોચ્ચારથી આત્મ-શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના માધ્યમથી વિશ્વનું કલ્યાણ પણ થશે. આ અવસરે એકસાથે 25 હજાર જૈનો નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.
અમદાવાદના જીએમડીસી ખાતેના આયોજનમાં રાજકીય નેતાઓ તેમજ જૈન સમુદાય, જેમ કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે 8 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં પહોંચવા માટે 450 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જીએમડીસી ગ્રાઉન્ડમાં 450થી વધુ કળશ મૂકવામાં આવ્યા હતા. કાર્યક્રમ પહેલાં શહેરમાં કળશ યાત્રાનું આયોજન કરાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને જોડાયા હતા. અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કર્યો હતો. 25 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત 100 થી વધારે અનુષ્ઠાન અને 6000 થી વધુ દેરાસર અને સ્થાનક પર તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. નવકાર મંત્રના જાપથી એક રેકોર્ડ બન્યો છે.