જુનાગઢનો ઓઝત વિયર આણંદપુર ડેમ ભર ઉનાળે બન્યો ઓવરફ્લો
- ડેમાંથી પાણી છોડાતા નદીના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા
- કમોસમી વરસાદને લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો
- ગીર ગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ પણ છલકાયો
જૂનાગઢઃ સોરઠ પંથકમાં કમોસમી વરસાદને લીધે ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફલો થયો છે અને ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે અને વંથલીના રાયપુર અને સુખપુર ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે, મેંદરડાના નાગલપુર ગામને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને નદીના પટમાં અવરજવર કરવા તંત્રએ મનાઈ ફરમાવી છે.આમ ભર ઉનાળે નદી બેકાંઠા થતાં ખેડુતોને રાહત થઈ છે.
જૂનાગઢનો ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફલો થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. લોકો ડેમમમાં નહાવા ના પડે તેવી તંત્રએ અપીલ કરી છે. બીજી તરફ ફાયર વિભાગની એક ટીમ પણ ડેમ પાસે સ્ટેન્ડબાય રાખવામાં આવી રહી છે. લોકો ડેમમાં પાણી જોવા ઉમટી રહ્યાં છે. વંથલી તાલુકાના રાયપુર અને સુખપુર તેમજ મેંદરડા તાલુકાના નાગલપુર ગામને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. સાથે નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઇ છે.
આ ઉપરાંત ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં દ્રોણેશ્વર ડેમ છલકાયો છે, ઉનાળામાં કમોસમી વરસાદ થતા દ્રોણ પાસે મચ્છુન્દ્રી નદીનો દ્રોણેશ્વર ડેમ છલકાયો છે, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, સાથે સાથે તુલસીશ્યામ, ધોકડવા, ગીરમાં ધોધમાર વરસાદ પડયો હોવાથી નાના ચેકડેમો પણ છલકાઈ ગયા છે.
વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવા કમોસમી વરસાદે તારાજી સર્જી છે, જંગલ વિસ્તારમાં તુલસીશ્યામ, ધોકડવા ગીર વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે, એક તરફ ખેડૂતોની બે થી અઢી મહિનાની મહેનતનો ફળ મળવાને 15 દિવસની રાહ હતી અને કમોસમી વરસાદને પાડવાના લીધે ખેડૂતોને તલ,બાજરી,ડુંગળી, ઉનાળુ મગફળી જેવા પાકોને નુકસાન થયું છે, બાગાયતી પાકમાં ઊના ગીર ગઢડા તાલુકાના વિસ્તારને મોટા પાયે કેસર કેરી ખરી ગઈ હતી.