For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરના બ્રાસ પાર્ટના ઉદ્યોગપતિની રૂપિયા 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ

05:41 PM Dec 02, 2025 IST | Vinayak Barot
જામનગરના બ્રાસ પાર્ટના ઉદ્યોગપતિની રૂપિયા 800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ધરપકડ
Advertisement
  • CBI, IT અને EDની બાદ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કાર્યવાહી કરી,
  • બ્રાસના ઉદ્યોગપતિએ આર્થિક ફાયદા માટે 40 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી,
  • આરોપી GST નંબર ધરાવતી પણ નિષ્ક્રિય હોય તેવી કંપનીઓ ખરીદી લેતા હતા

જામનગરઃ રાજ્યમાં સીબીઆઇ, ઇન્કમટેક્સ અને ઈડીની કાર્યવાહી બાદ હવે ડાયરેક્ટર જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ કરચોરી સામે આકરી કાર્યવાહી કરી છે. જીએસટી વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડીને અંદાજે રૂ. 800 કરોડના મસમોટા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ તપાસનો રેલો જામનગર સુધી પહોંચતા બ્રાસપાર્ટના જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવતા બ્રાસ ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

ડાયરેક્ટર જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)ની તપાસમાં સામે આવ્યું છે કે જામનગરની 'પટેલ મેટલ કાસ્ટ એલએલપી'ના ભાગીદાર જયદીપ મુકેશભાઈ વિરાણી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પૈકીના એક છે. તેમણે આર્થિક ફાયદો મેળવવા માટે 40 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી. તપાસમાં ચોંકાવનારી વિગત એ ખૂલી છે કે, વાસ્તવિક રીતે માત્ર 22 કરોડનો વ્યવહાર હોવા છતાં, તેમણે 121 કરોડના બોગસ બિલો બનાવીને સરકારી તિજોરીને મોટો ચુનો ચોપડ્યો છે. અધિકારીઓએ તેમના કબજામાંથી ચેકબુક, દસ્તાવેજો, મોબાઇલ ફોન અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સૂત્રોના કહેવા મુજબ DGGIના અમદાવાદ ઝોનલ યુનિટને મળેલી બાતમીના આધારે ભાવનગર, મુંબઈ, ચંદ્રપુર અને રાજકોટમાં ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડમાં બદ્રે આલમ પઠાણ અને તૌફિક ખાનની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. તોફીક ખાને કોઈપણ માલની ખરીદી કર્યા વિના ખોટી વેરાશાખ મેળવવા માટે રૂ. 45 કરોડના નકલી બિલો મેળવ્યા હતા. અન્ય એક કેસમાં જૂનાગઢની 'ભારત સેનેટરી એન્ડ ફિટિંગ' ના ભાગીદાર હાર્દિક સંજયભાઈ રાવલની પણ ધરપકડ થઈ છે. તેમણે 47 નકલી કંપનીઓ દ્વારા ઈસ્યૂ કરાયેલા 110.57 કરોડના બોગસ બિલોના આધારે રૂ. 28.02 કરોડની ખોટી વેરાશાખ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી.

Advertisement

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કૌભાંડીઓ સક્રિય GST નંબર ધરાવતી પણ નિષ્ક્રિય હોય તેવી કંપનીઓ ખરીદી લેતા હતા. ત્યારબાદ તેના ડિરેક્ટરો અને સરનામા બદલી નાખતા અને મોટાપાયે નકલી બિલો બનાવતા હતા. આ કૌભાંડમાં હવાલા અને રોકડ વ્યવહારો દ્વારા નાણાંની હેરફેર કરાતી હતી. હાલમાં આ સમગ્ર મામલે DGGI દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓના નામ ખૂલવાની શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement