જમ્મુ-કાશ્મીરઃ વકફ એક્ટ મામલે બુધવારે પણ વિધાનસભામાં હોબાળો યથાવત
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વક્ફ એક્ટ મુદ્દે આજે બુધવારે પણ હોબાળો યથાવત રહ્યો હતો. દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP) ના એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિકે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો પર હિંસાનો આરોપ લગાવ્યો હતો. મેહરાજ મલિકે દાવો કર્યો હતો કે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના ધારાસભ્યો સાથેની તેમની ચર્ચા ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદ અંગે હતી. મેહરાજ મલિકે કહ્યું કે ભાજપના ધારાસભ્યો પીડીપી ધારાસભ્યોના સમર્થનમાં આવ્યા અને તેમને માર માર્યો હતો.
વિધાનસભામાં થયેલી ચર્ચાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મેહરાજ મલિક અને પીડીપી ધારાસભ્ય વહીદ પારા વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. મેહરાજ મલિક કહી રહ્યા છે કે તમે (વહીદ પારા) સમુદાય સાથે દગો કર્યો છે. તેઓ વિચારે છે કે મેહરાજ ડરી જશે અને હું તેમાંથી એકને પણ છોડીશ નહીં.
તેમણે કહ્યું હતું કે, "તેઓ પહેલી વાર કુર્તા પાયજામા પહેરીને ગૃહમાં આવ્યા અને એક સજ્જન વ્યક્તિ તરીકે કામ કર્યું અને આજે ભાજપના ધારાસભ્યો ગુંડાગીરીમાં સામેલ થયા." મેહરાજ ડોડા બેઠક પરથી પહેલી વાર ચૂંટાયા છે અને આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય છે.
દરમિયાન, ભાજપના ધારાસભ્ય વિક્રમ રંધાવાએ કહ્યું કે તેમણે હિન્દુઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે. તે એક નાલાયક વ્યક્તિ છે, અને ધારાસભ્ય બનીને તે ગમે તે કરી શકશે. તેમણે હિન્દુઓને અપશબ્દો બોલ્યાં છે. તેમણે કહ્યું કે, હિંદુ તિલક લગાવીને પાપ કરે છે તિલક લગાવીને ચોરીઓ કરી છે.