ગાંધીનગરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી, જગદિશના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં
- રથયાત્રા બપોરના સમયે સેક્ટર-29 જલારામ મંદિર ખાતે વિરામ લીધો,
- રથયાત્રામાં 1200 કિલો મગ, 100 કિલો જાંબુ, છ મણ કાકડીના પ્રસાદની વ્યવસ્થા,
- રથયાત્રામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવાયો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરાયુ છે. વર્ષ 1985થી શરૂ થયેલી રથયાત્રા કોરોનાકાળના બે વર્ષને બાદ કરતા આજદિન સુધી જળવાઈ રહી છે. પંચદેવ મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે નીકળી છે. આજે સવારે ગાંધીનગર મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. રથયાત્રામાં ભગવાનના દર્શન માટે શહેરીજનો ઉમટી પડ્યા હતા.
ગાંધીનગરમાં પંચદેવ મહાદેવ મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રા પ્રસ્થાન પુર્વે પ્લેનક્રેશ અને પહેલગાંવ આતંકી હુમલામાં ભોગ બનેલા હિન્દુઓના મૃતાત્માઓની શાંતિ માટે ગીતાના 15માં અધ્યાયનું પઠન કરીને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો પર ફરીને રથયાત્રા બપોરના સમયે સેક્ટર-29 જલારામ મંદિર ખાતે પહોંચીને વિરામ લીધો હતો.જ્યાં મહાપ્રસાદ બાદ રથયાત્રા શહેરના અન્ય વિસ્તારોમાં ફરશે.
ભગવાન જગન્નાથજીના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાનના રથનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. રથયાત્રા સમિતિ દ્વારા આ વર્ષે 1200 કિલો મગ, 100 કિલો જાંબુ, છ મણ કાકડીના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.ઉપરાંત વિવિધ ફ્લોટ્સ અને વેશભુષા રથયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને નહી તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
રથયાત્રા બપોરના સમયે સેક્ટર-29 સ્થિત જલારામ મંદિર ખાતે પહોંચતા વિરામ લીધો હતો. આ વિરામ સમય દરમિયાન રથયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.અંદાજીત છ હજાર લોકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. .જેમાં 800 કિલો ખીચડી, 700 કિલો બટાટા ટમેટાનું શાક તથા 1500 લિટર છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. દર વર્ષે મહાપ્રસાદમાં મોહનથાળ રાખવામાં આવે છે.પરંતુ આ વર્ષે પ્લેનક્રેશની ઘટનાના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળના બદલે 500 કિલો બુંદી ગાંઠિયાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
.ગાંધીનગરમાં પંચદેવ મંદિરેથી નિકળેલી 31 કિલોમીટર લાંબી રથયાત્રામાં સમગ્ર રાજ્યમાં રૂટની દ્રષ્ટીએ સૌથી મોટી છે ત્યારે તેની સુરક્ષા માટે ગાંધીનગર પોલીસ દ્વારા બે ઝોનમાં બંદોબસ્તની વહેંચણી કરવામાં આવી હતી. અને રથયાત્રા બાદ ભગવાન જગન્નાથજી નીજ મંદિરે પરત ફર્યા હતા.