ભવિષ્યમાં ક્યાં પ્રકારના જોખમો આવશે, તેનો અંદાજ ન લગાવી શકાયઃ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી
ભોપાલઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિવાદિત અને ચોંકાવનારા નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. હવે તેમના નિવેદનોને લઈને ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ એક ટિપ્પણી કરી છે. સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી તાજેતરમાં તેમના વતન મધ્યપ્રદેશના રીવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ટી.આર.એસ. કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે ભવિષ્યના સુરક્ષા પડકારો અને અનિશ્ચિતતાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
તેમણે જણાવ્યું કે, “આગામી દિવસોમાં દુનિયામાં અસ્થિરતા, અનિશ્ચિતતા, જટિલતા અને અસ્પષ્ટતા વધતી જશે. ભવિષ્યમાં ક્યાં પ્રકારના જોખમો આવશે, તેનો કોઈ અંદાજ લગાવી શકાતો નથી.” દ્વિવેદીએ હાસ્યભર્યા અંદાજમાં ઉમેર્યું હતું કે, “ટ્રમ્પને પણ ખબર નથી કે તેઓ કાલે શું કરશે.”
સેના પ્રમુખે કહ્યું કે સુરક્ષા ક્ષેત્રમાં પડકારો ઝડપથી બદલાઈ રહ્યા છે. એક પડકારને સમજતા પહેલાં જ બીજો પડકાર સામે આવી જાય છે. તેમણે જણાવ્યું કે, “આજની સેના અનેક પ્રકારના ખતરાઓનો સામનો કરી રહી છે, આતંકવાદ, કુદરતી આપત્તિ, સાઇબર હુમલા, અંતરિક્ષ યુદ્ધ, ઉપગ્રહ હુમલા, રાસાયણિક, જૈવિક અને માહિતી યુદ્ધ જેવા નવા ક્ષેત્રો સતત ઉદ્ભવી રહ્યા છે.”
ઉપેન્દ્ર દ્વિવેદીએ “ઓપરેશન સિંદૂર” દરમિયાન બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે સમયે ખોટી માહિતી ફેલાઈ હતી કે “કરાચી પર હુમલો થયો છે.” પરંતુ વાસ્તવમાં કોણે હુમલો કર્યો, ક્યાંથી માહિતી આવી તેનો કોઈ પતો નહોતો. તેમણે જણાવ્યું કે, “આવી પરિસ્થિતિઓમાં પ્રત્યેક ક્ષેત્રમાં સજ્જ રહેવું અને ટેકનોલોજીથી લઈ માનવીય સંકલન સુધી મજબૂત વ્યવસ્થા બનાવવી જરૂરી છે.”
દ્વિવેદીએ અંતે કહ્યું કે ભારતીય સેના દરેક પડકારનો સામનો કરવા માટે સજ્જ છે, પરંતુ સમયની સાથે નવી તકનીક, નવી રણનીતિ અને નવી વિચારસરણી અપનાવવી અત્યંત જરૂરી છે.