For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઈઝરાયલ-ઈરાન યુદ્ધઃ અનેક વિદ્યાર્થીઓ ઈરાનમાં ફસાયા, મદદ માટે મોદી સરકારને કરી અપીલ

05:11 PM Jun 16, 2025 IST | revoi editor
ઈઝરાયલ ઈરાન યુદ્ધઃ અનેક વિદ્યાર્થીઓ ઈરાનમાં ફસાયા  મદદ માટે મોદી સરકારને કરી અપીલ
Advertisement

નવી દિલ્હીઃ ઈરાનમાં વધી રહેલા ઈઝરાયલી હવાઈ હુમલાઓ વચ્ચે મોટી સંખ્યામાં ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે પોતાના એપાર્ટમેન્ટના ભોંયરામાં છુપાઈ ગયા છે. ગોળીબારના અવાજો, બોમ્બ વિસ્ફોટોના પડઘા અને ધીમી ઈન્ટરનેટ ગતિ વચ્ચે વિદ્યાર્થીઓ ભયના માહોલ વચ્ચે સમય પસાર કરી રહ્યાં છે. આ ભયાનક પરિસ્થિતિમાં, ભારતીય વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી છે.

Advertisement

કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી ઈમ્તિસલ મોહીદીન, તેહરાનમાં શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષના એમબીબીએસ વિદ્યાર્થી છે. તેમણે કહ્યું કે, 'શુક્રવારે સવારે 2:30 વાગ્યે જોરદાર વિસ્ફોટોના અવાજથી હું જાગી ગયો. હું ગભરાટમાં ભોંયરામાં દોડી ગયો હતો. ત્યારથી, હું શાંતિથી સૂઈ શક્યો નથી.' તેમણે કહ્યું કે યુનિવર્સિટીની આસપાસ વિસ્ફોટ થઈ રહ્યા છે અને એક વિસ્ફોટ માત્ર 5 કિલોમીટરના અંતરે થયો છે.

શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીમાં 350 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે તે બધા ભયના માહોલમાં રહેવા માટે મજબૂર છે. યુનિવર્સિટીએ બધા વર્ગો મુલતવી રાખ્યા છે અને વિદ્યાર્થીઓને બહાર જવાની મનાઈ ફરમાવી છે. ઇમ્તિસલના જણાવ્યા મુજબ, "અમે હવે આખો દિવસ એપાર્ટમેન્ટના ભોંયરામાં છુપાયેલા રહીએ છીએ. આખી રાત બોમ્બમારાનો અવાજ સંભળાય છે. અમે ત્રણ દિવસથી આંખો બંધ કરી નથી."

Advertisement

ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેહરાનમાં ભારતીય દૂતાવાસે એક જાહેર એડવાઈઝરી જારી કરીને તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને તેમના ઘરની અંદર રહેવા અને દૂતાવાસે આપેલી ટેલિગ્રામ લિંક સાથે જોડાવા કહ્યું છે. દૂતાવાસે કહ્યું કે આ લિંક ફક્ત તે લોકો માટે છે જેઓ હાલમાં ઈરાનમાં છે. દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું, "અમે બધા ભારતીય નાગરિકોને આપેલ ટેલિગ્રામ લિંક સાથે જોડાવા વિનંતી કરીએ છીએ જેથી તેઓ પરિસ્થિતિ સંબંધિત નવીનતમ અપડેટ્સ મેળવતા રહે." આ સાથે, દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો પણ જાહેર કર્યા છે.

જોકે, વિદ્યાર્થીઓ કહે છે કે ભયનું વાતાવરણ એટલું ખતરનાક છે કે ફક્ત સલાહ અને સંદેશાઓ જ રાહત આપી રહ્યા નથી. ઇમ્તિસલ મોહીદીને ભાવનાત્મક રીતે કહ્યું, "અમે ભારત સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તેઓ શક્ય તેટલી વહેલી તકે અહીંથી અમને બહાર કાઢે. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં."

Advertisement
Tags :
Advertisement