ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર નીકળવા મામલે ઈઝરાયલ-ભારત વચ્ચે પુરો તાલમેલ
નવી દિલ્હીઃ ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે જણાવ્યું હતું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા સંઘર્ષ પછી તેલ અવીવ ભારતીયોને બહાર કાઢવા માટે વિદેશ મંત્રાલય સાથે સંપૂર્ણ સંકલન કરી રહ્યું છે. અઝારે કહ્યું, "અમે અમારા પરિવહન મંત્રાલય દ્વારા ભારતીયોને બહાર કાઢવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. રાજદ્વારીઓ અને વિદેશી નાગરિકો જે જવા માંગે છે તેમની પાસે કેટલાક જમીન અને દરિયાઈ વિકલ્પો છે અને અમે તેમનું સંકલન કરી રહ્યા છીએ." તેમણે કહ્યું કે તેલ અવીવ ઈરાનની ક્ષમતાઓ સાથે જોડાયેલા સ્થળોને નિશાન બનાવી રહ્યું છે અને નાગરિક જાનહાનિ ટાળવા માટે પ્રયાસો કરી રહ્યું છે. અમે ફક્ત તે સ્થળોને નિશાન બનાવી રહ્યા છીએ જે શાસનની ક્ષમતાઓ સાથે જોડાયેલા છે. અમે નાગરિકોને નિશાન બનાવી રહ્યા નથી.
રાજદૂત અઝારે કહ્યું, "અમે ભારતના વિદેશ મંત્રાલય સાથે સંપૂર્ણ સંકલનમાં છીએ. જ્યારે પણ ભારતીય નાગરિકોને બહાર કાઢવાની જરૂર પડી છે, ત્યારે અમે અમારા પરિવહન મંત્રાલય દ્વારા તેની તૈયારી શરૂ કરી દીધી છે." તેમણે કહ્યું કે વિદેશી નાગરિકો અને રાજદ્વારીઓને જમીન અને દરિયાઈ બંને માર્ગો દ્વારા બહાર કાઢવા માટે વિકલ્પો ઉપલબ્ધ છે અને તેમને સક્રિય કરવામાં આવી રહ્યા છે.
ઇઝરાયલી રાજદૂતે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ ફક્ત તે સ્થળોને નિશાન બનાવી રહ્યો છે જે ઈરાનની લશ્કરી ક્ષમતાઓ સાથે સંબંધિત છે. 'અમે ફક્ત તે જ સ્થળોને નિશાન બનાવી રહ્યા છીએ જે ઈરાનના શાસન દ્વારા સંચાલિત લશ્કરી ક્ષમતાઓ સાથે સંબંધિત છે. અમે સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવા માંગતા નથી અને આ માટે અમે તેમને જોખમી વિસ્તારોમાંથી દૂર જવા અપીલ કરી છે.' તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ઇઝરાયલી સેનાએ ઈરાનના લગભગ 120 લોન્ચર્સ (મિસાઇલ લોન્ચિંગ સેન્ટર્સ)નો નાશ કર્યો છે, જ્યારે ઈરાને પહેલાથી જ 400 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને બમણા ડ્રોન છોડ્યા છે. આમ છતાં, તેમની પાસે હજુ પણ શસ્ત્રોનો ભંડાર બાકી છે. 'અમે ઈરાનની ક્ષમતાઓનો નાશ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ, પરંતુ વાસ્તવિક પ્રશ્ન એ છે કે ઈરાન આંતરરાષ્ટ્રીય સમુદાયની શરતો સ્વીકારવા માટે ક્યારે વાટાઘાટોના ટેબલ પર આવશે.'