ભારતનો પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ 2027 સુધી લોન્ચ થશે : ISRO પ્રમુખ
નવી દિલ્હી: ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ‘ગગનયાન’ અંગે આખા દેશમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના પ્રમુખ વી. નારાયણને જણાવ્યું કે, આ મિશન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે અને 2027 સુધીમાં તેને લોન્ચ કરવામાં આવશે.
ISRO પ્રમુખે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષ્યાંક રાખ્યો છે કે ભારત 2040 સુધી પોતાનું પ્રથમ માનવયુક્ત ચંદ્રમિશન મોકલે, જેમાં ભારતીય અવકાશયાત્રી ચંદ્ર સુધી જઈને સુરક્ષિત રીતે પાછા ફરશે. નારાયણને વધુમાં જણાવ્યું કે, ISRO આ દિશામાં પણ સક્રિય રીતે તૈયારીઓ કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓના આધારે આંતરરાષ્ટ્રીય સહકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કોઈ મિશનમાં વૈજ્ઞાનિક હેતુઓ એકસરખા હોય, તો ભારત અન્ય દેશો સાથે મળીને કાર્ય કરવા માટે તૈયાર છે.
ISRO પ્રમુખે આ અવસર પર ભારતના પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય એલ-1’ વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ મિશને અત્યાર સુધીમાં 15 ટેરાબિટથી વધુ ડેટા એકત્રિત કર્યો છે. આ ડેટા દ્વારા સૂર્ય પવન, CME અને અંતરિક્ષ હવામાન (Space Weather) સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મળી છે. આ માહિતીના આધારે ભારતને સૂર્યની ગતિવિધિઓ અને અંતરિક્ષ પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી રહી છે.
ISRO પ્રમુખના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત પોતાની અવકાશયાત્રા ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. ‘ગગનયાન’ના સફળ લોન્ચ સાથે ભારત તે દેશોની યાદીમાં સામેલ થશે, જેમણે માનવ અવકાશયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.