કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરાઈ
કેનેડામાં ગોળીબાર થતાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું મોત થયાનું જાણવા મળે છે. ઘટના સમયે, પીડિતા કામ પર જવા માટે બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારે તેને ગોળી વાગી હતી. પોલીસનું કહેવું છે કે બસ સ્ટોપ પાસે એક કારમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં બે કાર સવારોએ એકબીજા પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થિની ફસાઈ હતી અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતક ભારતીય વિદ્યાર્થિનીની ઓળખ હરસિમરત રંધાવા તરીકે થઈ છે, જે કેનેડાના ઓન્ટારિયોના હેમિલ્ટનમાં મોહૌક કોલેજની વિદ્યાર્થિની છે.
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, 'ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ મૃત્યુથી અમે દુઃખી છીએ. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, તે એક નિર્દોષ પીડિતા હતી જે બસ સ્ટોપ પર થયેલા ગોળીબારમાં ફસાઈ ગઈ હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. અમે પીડિત પરિવારના સંપર્કમાં છીએ અને જરૂરી તમામ મદદ પૂરી પાડી રહ્યા છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના પીડિત પરિવાર સાથે છે.
પોલીસે જણાવ્યું હતું કે, તેમને હેમિલ્ટનના અપર જેમ્સ વિસ્તારમાં સાંજે 7.30 વાગ્યાની આસપાસ ગોળીબારના અહેવાલ મળ્યા હતા. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ભારતીય વિદ્યાર્થિની ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો અને તેની છાતીમાં ગોળી વાગી હતી. પોલીસ વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની તપાસમાં જાણવા મળ્યું છે કે કાળી કારમાં સવાર લોકોએ સફેદ કાર પર ગોળીબાર કર્યો હતો. ગોળીબાર બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ગોળી નજીકના ઘરની બારીમાંથી પણ પસાર થઈ ગઈ. જેના કારણે ઘરમાં હાજર લોકોનો માંડ માંડ બચાવ થયો. પોલીસ આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે.