ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી ‘દેશને અગ્રેસર રાખશે: મુખ્યમંત્રી
- ગાંધીનગરમાંસહકાર સે સમૃદ્ધિ અંતર્ગત સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ,
- છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં સહકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા,
- 2034 સુધીમાં જી.ડી.પી.માં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે.
2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે “કો-ઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણી સંદર્ભમાં ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેતી બેંક અને ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્કશોપના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા કહ્યું કે, સ્વતંત્રતા પહેલાં ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આગેવાનીમાં અસહકારની લડતમાં અગ્રેસર ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલના વિઝનને પાર પાડવામાં અગ્રેસર છે.
તેમણે જણાવ્યું કે, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ખાસ કરીને પ્રાથમિક સહકારી મંડળીઓ આ માટેનું અને સ્વદેશીથી આત્મનિર્ભરતાનું યોગ્ય પ્લેટફોર્મ છે એમ મુખ્યમંત્રી ઉમેર્યું હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનએ આત્મનિર્ભર ભારતને 140 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ અને જન આંદોલન બનાવ્યું છે. આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વ સહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજ વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ.
આ નીતિની વિશેષતાઓ પ્રસ્તુત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દરેક નાગરિકને સહકારી આંદોલન સાથે વધુમાં વધુ જોડવા સાથો સાથ 2034 સુધીમાં જી.ડી.પી.માં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય સહકાર નીતિમાં રાખવામાં આવ્યું છે.
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, વન-પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા તેમજ વન -પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.
સહકારી આગેવાન તરીકે પોતાના અનુભવો રજૂ કરતાં શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં સહકારી માળખાને ટકાવી રાખવા અને લાખો સભાસદોના હિતમાં અનેકવિધ કલ્યાણકારી નિર્ણયો કર્યા છે. આ સહકારી માળખાને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માના નેતૃત્વમાં ગુજરાતે અનેક નવીન આયામો શરૂ કરીને સમગ્ર દેશને સહકારી મોડલમાં નવો રાહ ચિંધ્યો છે. વર્ષો પહેલા ખેડૂતો જ્યારે તેનું અનાજ પાકે ત્યારે તેમાંથી જરૂર પૂરતો ભાગ ગામના અન્ય વર્ગોને આપતા હતા તેની સામે ખેડૂતને જ્યારે જરૂર પડે ત્યારે આ વર્ગો વિવિધ સ્વરૂપે મદદ કરતા એટલે કે તે વખતે પણ સહકારીતાની ભાવના અસ્તિત્વમાં હતી તેમ તેમણે ઉમેર્યુ હતું.