ભારતઃ 67 આતંકવાદી અને ગેરકાયદેસર સંગઠનોની નવી યાદી જાહેર કરાઈ
નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરતા 67 પ્રતિબંધિત સંગઠનોની નવીનતમ યાદી જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આ સંગઠનોને આતંકવાદી અથવા ગેરકાયદેસર જાહેર કર્યા છે. આ યાદીમાં, 45 સંગઠનોને આતંકવાદી સંગઠનો તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જ્યારે 22 સંગઠનોને ગેરકાયદેસર સંગઠનો જાહેર કરવામાં આવ્યા છે.
આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, અલ-કાયદા, ઇસ્લામિક સ્ટેટ (ISIS), ખાલિસ્તાન લિબરેશન ફોર્સ, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA), નક્સલવાદી સંગઠનો (CPI-માઓવાદી), લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE) અને જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ સંગઠનો ભારતમાં આતંકવાદી હુમલાઓ, બળવાખોરી અને હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.
આ ઉપરાંત, સરકારે ઘણા સંગઠનોને ગેરકાયદેસર જાહેર કર્યા છે, જેમાં સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI), જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF), પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) અને તેના સહયોગીઓ, ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) અને મણિપુરમાં કેટલાક આતંકવાદી જૂથોનો સમાવેશ થાય છે. આ સંગઠનો અલગતાવાદી પ્રવૃત્તિઓ અને હિંસામાં સામેલ રહ્યા છે, જેના કારણે દેશની શાંતિ અને સ્થિરતા જોખમમાં મુકાઈ છે.
સરકાર દ્વારા આ સંગઠનો પર પ્રતિબંધ મૂકવાથી તેમની સંપત્તિ જપ્ત થઈ શકે છે, તેમના નાણાકીય વ્યવહારો અવરોધિત થઈ શકે છે અને તેમના સભ્યો પર ગંભીર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આ પ્રતિબંધ ભારતમાં આતંકવાદ અને ઉગ્રવાદને રોકવા માટે લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. ગૃહ મંત્રાલય ઉભરતા ખતરોનો સામનો કરવા અને દેશની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સમયાંતરે આ યાદીને અપડેટ કરતું રહે છે.